‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર

December 09, 2025

સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી, પરંતુ તે ભારતના સામાન્ય લોકોની અભિવ્યક્તિ, આત્મનિર્ભરતા અને સન્માનનું પ્રતીક છે. ખાદી એ ભારતની આત્મા છે. દરેક ક્ષેત્રની ઓળખ અલગ-અલગ કપડાંથી થાય છે.‘

અસમિયા ગમછાથી લઈને કાંચીપુરમની સાડી સુધીની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે ‘આપણો દેશ પણ એક ફેબ્રિક (કાપડ) જેવો જ છે. દેશની ઝલક તેના પહેરવેશમાં છે અને દેશના બધા દોરા એકસમાન છે, જે 150 કરોડ હિંદુસ્તાનીઓથી બનેલો છે.’

રાહુલ ગાંધીએ મતદાર યાદી સુધારણા પર વાત કરતી વખતે RSS પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘RSS તમામ સંસ્થાઓ પર કબજો કરવા માંગે છે. દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે.’ આ વાત સાંભળતા જ સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસ નેતાને માત્ર SIR પર જ બોલવાની અને કોઈ સંગઠનનું નામ ન લેવાની ટકોર કરી હતી.

સત્તા પક્ષે હોબાળો મચાવ્યા બાદ રાહુલે કહ્યું કે, ‘મેં કોઈ ખોટું કહ્યું નથી. RSSએ શૈક્ષણિક સંસ્થાઓ પર કબજો કર્યો છે. સંગઠન સાથે જોડાયેલા વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. એક સંસ્થા સાથે જોડાયેલા લોકોએ CBI, ED પર કબ્જો કર્યો છે. દેશની ચૂંટણીને નિયંત્રણમાં રાખતી સંસ્થા ચૂંટણી પંચ પર પણ એક સંસ્થાએ કબજો કરેલો છે, મારી પાસે તેના પુરાવા છે.’