મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલાં: મંત્રીઓ-અધિકારીઓના પ્રવાસ પર કાપ સહિત 11 નિયમો જાહેર

May 20, 2026

ગુજરાતમાં સરકારી તિજોરી પરનો બોજ ઘટાડવા ભૂપેન્દ્ર પટેલ સરકારે એક પરિપત્ર જાહેર કરી ૧૧ કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો મુજબ મંત્રીઓ અને અધિકારીઓના બિનજરૂરી વિદેશ તથા જિલ્લા બહારના પ્રવાસ પર પ્રતિબંધ મૂકાયો છે. રૂબરૂ બેઠકોને બદલે વર્ચ્યુઅલ મીટિંગ્સ, ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ અને સરકારી કાર્યક્રમો સાદગીથી યોજવા જેવા કરકસરના મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.

ક્યા 11 નિયમ બનાવ્યા

  • પ્રવાસ ટાળીને મીટિંગ્સ માટે વીડિયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો જ ઉપયોગ કરવો.
  • અનિવાર્ય સંજોગો સિવાય સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ કે વિદેશી તાલીમ ટાળવી.
  • અન્ય રાજ્યોની બેઠકોમાં ઓનલાઈન જોડાવું; રૂબરૂ જવું પડે તો વધારાના સ્ટાફને સાથે ન લઈ જવો.
  • જિલ્લા બહારની મુસાફરી બને ત્યાં સુધી ટાળવી; અત્યંત જરૂરી હોય તો જ ઉપરીની પૂર્વમંજૂરી લેવી.
  • વધારાના સરકારી વાહનો જમા કરાવવા; એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓએ માત્ર એક જ વાહન રાખવું.
  • વાહનોનો વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક (EV) કે હાઈબ્રિડ વાહનોનો જ ઉપયોગ કરવો.
  • ખાનગી વાહનો ટાળીને મેટ્રો, બસ કે રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવો.
  • આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન ફરજિયાત લેવું.
  • સરકારી ખરીદીમાં સ્વદેશી, સ્થાનિક અને MSME ઉત્પાદનોને જ વિશેષ પ્રાથમિકતા આપવી.
  • ગભરાટમાં લોકો દ્વારા થતી આડેધડ ખરીદી અને સંગ્રહખોરી રોકવા જનજાગૃતિ અભિયાન ચલાવવું.
  • સરકારી કાર્યક્રમો સાદગીથી યોજવા અને લોકાર્પણ બને ત્યાં સુધી વર્ચ્યુઅલ (ઓનલાઈન) જ કરવા.