ચિરાગ પાસવાને નીતીશકુમારને ભારત રત્ન આપવાની માંગ કરી

October 09, 2024

લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને પોતાની નરેન્દ્ર મોદી સરકાર સમક્ષ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને ભારત રત્નથી નવાજવા માટે માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સીએમ નીતીશકુમારને ભારત રત્ન મળવો જ જોઈએ. તેમની તુલના ઘણા ઓછા રાજકીય નેતાઓ સાથે થઈ શકે તેમ છે.

ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે એ બાબતને ખોટી કહી શકાય તેમ નથી કે તેઓ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને સંઘર્ષ સાથે તેઓ હાલના મુકામ પર પહોંચ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન અને રાજદ સુપ્રીમો લાલુપ્રસાદને જામીન મળવા અંગે પૂછવામાં આવતાં ચિરાગે જણાવ્યું હતું કે તેમને ન્યાય પદ્ધતિ પર હંમેશા વિશ્વાસ હોવો જોઈએ. જે લોકો તેમને નિર્દોષ ગણાવે છે તેમને હું સ્પષ્ટ કહીશ કે જો તમે સાચા છો અને કશું પણ ખોટું કર્યું નથી અને ગુનો કર્યો નથી તો તમારે ડરવાની જરૂર નથી. જો તમે સાચા છો તો પરિણામ તમારા પક્ષમાં આવશે અને જો દોષિત હશો તો સજા પણ તમારે જ ભોગવવી પડશે.

ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણી માટે પૂરેપૂરા સજ્જ છીએ. પોતાના પક્ષના કાર્યક્રમની જાહેરાત કરતાં ચિરાગે જણાવ્યું હતું કે 28 નવેમ્બરે પટણાના ગાંધી મેદાનમાં જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ચિરાગે બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટની વિચારસરણી સાથે લગભગ ચાર વર્ષ પહેલાં મૂવમેન્ટ શરૂ કરી હતી. તેણે ઉમેર્યું હતું કે 2025ની વિધાનસભાની ચૂંટણી એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. ચૂંટણીમાં સફળતાપૂર્વક પરિણામ લાવવાનો અમારો ઉદ્દેશ છે.