ગુજરાતથી દિલ્હી સુધી અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કેન્દ્ર સરકારનો નિર્ણય

December 24, 2025

કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળા અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે જણાવ્યું છે કે, તે સમગ્ર અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ કરશે. અરવલ્લી પર્વતમાળામાં કોઈ નવા માઇનિંગ લાઇસન્સ કે લીઝ આપવામાં આવશે નહીં, એટલે કે કોઈ માઇનિંગ થશે નહીં. આ પ્રતિબંધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળા પર સમાન રીતે લાગુ પડશે.

ગુજરાત, રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી અરવલ્લી પર્વતમાળામાં માઈનિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે અરવલ્લી રેન્જ પર ગેરકાયદે માઇનિંગ પર પ્રતિબંધ લાગશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પહાડોમાં થઈ રહેલા ગેરકાયદે અને અનિયમિત માઇનિંગને પૂરી રીતે રોકવાનો છે. 

સરકારે કહ્યું કે, પહેલાથી જ આપવામાં આવેલા માઇનિંગ લીઝને નિયંત્રિત કરતા નિયમોને વધુ કડક બનાવવામાં આવશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આ માટે રાજ્યોને નિર્દેશો જારી કર્યા છે. વધુમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC)એ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE)ને અરવલ્લી પ્રદેશમાં વધારાના વિસ્તારો અથવા ઝોન ઓળખવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં માઇનિંગ પર પ્રતિબંધ હોવો જોઈએ. આ વિસ્તારો કેન્દ્ર દ્વારા પહેલાથી જ પ્રતિબંધિત માઇનિંગ વિસ્તારો ઉપરાંત હશે અને ઇકોલોજીકલ, ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપ-સ્તરના વિચારણાઓના આધારે તેની ઓળખ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ICFREના અરવલ્લી પ્રદેશમાં સતત માઇનિંગ મામલે એક વૈજ્ઞાનિક યોજના (MPSM) બનાવવાનો નિર્દેશ કર્યો છે. આ યોજના દ્વારા જોવામાં આવશે કે, માઇનિંગના કારણે પ્રકૃત્તિ પર કેટલી ખરાબ અસર પડી રહી છે અને અરવલ્લી પ્રદેશ કેટલો ભાર સહી શકે છે. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવશે, જેથી તેને માઇનિંગથી બચાવીને સુરક્ષિત રાખી શકાય.

જ્યાં માઇનિંગ થયું છે, તે વિસ્તારોમાં ફરીથી સુધારાની અને હરિયાળી સ્થાપવાના ઉપાય કરવામાં આવશે. આ યોજના જાહેર જનતા અને નિષ્ણાતોના મંતવ્યો માટે પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે. આ પગલાથી સમગ્ર અરવલ્લી પ્રદેશમાં માઇનિંગ પર નિયંત્રણ વધશે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે "નો-માઇનિંગ ઝોન"નો વ્યાપ વધશે. 

કેન્દ્રએ એ પણ નિર્દેશ આપ્યો છે કે, પહેલાથી કાર્યરત ખાણો માટે સંબંધિત રાજ્ય સરકારો તમામ પર્યાવરણીય સલામતીના પગલાંનું કડક પાલન સુનિશ્ચિત કરશે અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે.