દિલ્હી રમખાણો: IB ઓફિસર અંકિત શર્મા હત્યા કેસમાં પૂર્વ આપ કોર્પોરેટર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ

July 31, 2026

દિલ્હી ઃ 2020ના દિલ્હી રમખાણોમાં IBના કર્મચારી અંકિત શર્માની ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યાના કેસમાં દિલ્હીની કરકરડૂમા કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો.કોર્ટે આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય 4 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. સજા સંભળાવતી વખતે અદાલતે ચુકાદામાં જે અવલોકનો કર્યા તે અત્યંત ગંભીર અને કંપારી છૂટી જાય તેવા છે. કરકરડૂમા કોર્ટે નોંધ્યું કે આ હત્યા ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા સાંપ્રદાયિક રમખાણો દરમિયાન આચરવામાં આવી હતી અને આ ગુનો માત્ર અને માત્ર પીડિતના ધર્મના આધારે જ અત્યંત નિર્દયતાથી કરવામાં આવ્યો હતો. જે રીતે આ ગુનો આચરવામાં આવ્યો હતો તે અત્યંત ક્રૂરતાથી ભરેલો હતો, જે માત્ર ધર્મના આધારે કરવામાં આવ્યો હતો. અંકિત શર્માના મૃતદેહને ચાંદબાગ પુલિયા સુધી 'કોઈ જાનવરની જેમ' ઘસડી જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ગંદી ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. અદાલતે 13 જુલાઈના રોજ જ આ તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. શુક્રવારે સજાની જાહેરાત કરતા કોર્ટે નીચે મુજબના 5 વ્યક્તિઓને હત્યા, ગુનાહિત કાવતરું અને અન્ય ગંભીર ગુનાઓ હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે.

આરોપીઓમાં તાહિર હુસૈન (પૂર્વ AAP કાઉન્સિલર) નાઝિમ, કાસિમ, જાવેદ, અનસનો સમાવેશ થાય છે. ચુકાદો આવ્યા બાદ પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈને કોર્ટના નિર્ણય સામે આકરો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે ટ્રાયલ કોર્ટની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે તે આ સજાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારશે અને તેને ત્યાંથી ન્યાય મળશે. બીજી તરફ, સહ-આરોપી પૈકીના એકના એડવોકેટ અબ્દુલ ગફાર ખાને પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આગામી 1 સપ્તાહની અંદર હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે. સજા પરની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે તાહિર હુસૈન અને અન્ય દોષિતો માટે મૃત્યુદંડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે આ કેસ 'રેરેસ્ટ ઓફ રેર'શ્રેણીમાં આવે છે.