ધરા ધ્રૂજી: અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

October 27, 2024

અમરેલી : સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે. રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તાર, અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા, ધારી, ચલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોરદાર ભૂકંપનો આંચકો આવતા સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા, તાતણીયા સહિતના ગામો ધણધણી ઊઠ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે, એકથી દોઢ દાયકામાં આ પ્રકારનો ભૂકંપનો આંચકો આ વિસ્તારમાં નથી આવ્યો.


ખાંભાના તાતણીયા ગામે ભૂકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર ભાગ્યા હતા. તાતણીયા ગામે હીરાના કારખાનામાં ભૂકંપના આંચકાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારખાનેદારો બહાર ભાગતા નજરે પડી રહ્યા છે.
સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, 'જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી.'