SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર

May 11, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો બાદ ઉભો થયેલો મતદાર યાદીનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય અરજદારોને મતદાર યાદીમાંથી નામ હટાવવા અંગે નવી અરજીઓ દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે. આ સુનાવણીમાં મુખ્ય મુદ્દો એ હતો કે શું SIR પ્રક્રિયાના કારણે ચૂંટણીના પરિણામો પ્રભાવિત થયા છે.

તૃણમૂલ કોંગ્રેસ તરફથી વરિષ્ઠ એડવોકેટ અને સાંસદ કલ્યાણ બેનર્જીએ કોર્ટમાં ચોંકાવનારી દલીલો કરી હતી. રાજ્યની 31 વિધાનસભા બેઠકો પર હાર-જીતનું અંતર એ બેઠકો પરથી કાઢી નાખવામાં આવેલા મતદારોની સંખ્યા કરતા ઓછું છે. એક બેઠક પર TMC ઉમેદવાર માત્ર 862 મતોથી હાર્યા હતા, જ્યારે ત્યાંની મતદાર યાદીમાંથી 5,000 થી વધુ નામો હટાવી દેવામાં આવ્યા હતા. ભાજપ અને TMC વચ્ચે મતોનું કુલ અંતર લગભગ 32 લાખ છે, જ્યારે મતદાર યાદીમાંથી નામ હટાવવા સામેની અપીલોની સંખ્યા 35 લાખથી વધુ છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે નોંધ્યું હતું કે, જો જીતનું અંતર ખરેખર ડિલીટ થયેલા મતો કરતા ઓછું હોય, તો તેવા કિસ્સામાં નવી અરજીઓ કરી શકાય છે. કોર્ટે અપીલોના નિકાલ માટેની પદ્ધતિમાં સુધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, કારણ કે હાલની ગતિએ આ અપીલોના નિકાલમાં 4 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે.

ભારતીય ચૂંટણી પંચે આ દલીલોનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આવી વિસંગતતાઓ માટે કાયદાકીય ઉપાય ચૂંટણી પિટિશન (Election Petition) દ્વારા જ હોવો જોઈએ અને SIR પ્રક્રિયાના દરેક મુદ્દા પર અલગથી દાવો માંડી શકાય નહીં. બંગાળની 294 સભ્યોની વિધાનસભામાં ભાજપે 207 બેઠકો સાથે જીત મેળવી છે, જ્યારે TMC ને 80 બેઠકો મળી છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું.