ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ ઃ સુપ્રીમ કોર્ટ

July 31, 2026

દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023ના કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતાની બનેલી 3 સભ્યોની પસંદગી સમિતિનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પસંદગી પ્રક્રિયામાં પ્રધાનમંત્રીની ભૂમિકા પર "શંકા કરવાનું કોઈ કારણ નથી." સરકારે દલીલ કરી હતી કે બંધારણીય અદાલતો એ ધારણા પર કામ કરી શકે નહીં કે સરકાર લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ કામ કરશે. પસંદગી સમિતિ પર સવાલ ઉઠાવવો એ સંસદની કાયદાકીય વિવેકબુદ્ધિ અને ચૂંટાયેલી સંસ્થાઓમાં મૂકેલા બંધારણીય વિશ્વાસ બંને પર શંકા કરવા સમાન છે.


સુપ્રીમ કોર્ટમાં સરકાર પક્ષે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રધાનમંત્રી પદની ગરિમા અને સંસદના અધિકારોનો પક્ષ રાખતાં દલીલો કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સાથે એક પવિત્રતા જોડાયેલી છે. જો તેમના નિર્ણય પર વિશ્વાસ ન કરી શકાતો હોય, તો પછી એવી જોગવાઈ પણ કેમ ન બનાવવી કે પોતાના કેબિનેટની પસંદગી કરતી વખતે પણ પ્રધાનમંત્રીએ કોઈ ભૂતપૂર્વ જજ કે બહારના વ્યક્તિની સલાહ લેવી પડશે?


તુષાર મહેતાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, મારો સવાલ એ છે કે શું રાજ્યનું કોઈ એક અંગ (ન્યાયતંત્ર) એવી ધારણા બાંધી શકે કે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ ખરાબ દાનતથી કામ કરશે, લોકશાહીના હિતમાં કામ નહીં કરે અને બંધારણીય સિદ્ધાંતોના કલ્યાણ માટે કામ નહીં કરે, માત્ર એટલા માટે કે તેમની પાસે સંખ્યાત્મક બહુમતી છે?"
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ સમક્ષ આ સુનાવણી થઈ હતી. સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દો પ્રધાનમંત્રી પર અવિશ્વાસ કરવાનો નથી, પરંતુ ચૂંટણી પંચમાં નિમણૂકો પ્રત્યે જનતાનો વિશ્વાસ અને નિષ્પક્ષતા જાળવી રાખવાનો છે. અટોર્ની જનરલ અને સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને આ મામલો 5 કે તેથી વધુ જજોની બંધારણીય બેંચ સમક્ષ મોકલવા વિનંતી કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આ અરજીઓમાં બંધારણની કલમ 324ના અર્થઘટન અને આ મામલે સંસદની કાયદાકીય સત્તાઓને લગતા મહત્વના પ્રશ્નો સામેલ છે.