Breaking News :
U Visa માટે ફેક લૂંટનું કાવતરું રચનાર ગુજરાતી મિતુલ પટેલ વિઝા ફ્રોડ કેસમાં દોષિત, અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ કુલગામમાં આતંકવાદીનો ગોળીબાર : છત્તીસગઢના શ્રમિકનું મોત, અન્ય એક ગંભીર, 3000 શંકાસ્પદોની અટકાયત NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસ્યા: મધરાત્રે 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓ અને શ્રમિકોનું રેસ્ક્યુ PoK માં સુરક્ષા દળોનો બર્બર આતંક : પ્રદર્શનકારીઓ પર ગોળીબાર, 4 દિવસમાં 50થી વધુના મોત, ઇસ્લામાબાદમાં વિરોધ ફાટી નીકળ્યો લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી દેશના 7 રાજ્યોમાં રેડ એલર્ટ, 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતાં પૂર જેવી સ્થિતિ, અનેક વાહનો તણાયા; દુકાનો-મિલકતને નુકસાન

August 01, 2026

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરૂ વિસ્તારમાં શનિવારે સવારે લગભગ 2:30 વાગ્યે વાદળ ફાટતાં અચાનક પૂર આવ્યું હતું. આ ઘટનામાં અનેક વાહનો તણાઈ ગયા હતા તેમજ માલ-મિલકતને નુકસાન થયું હતું. સાવચેતીના પગલા તરીકે ચતરૂ-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ મળ્યા નહોતા અને નુકસાનનું ચોક્કસ પ્રમાણ જાણવા માટે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું.

ઘટનાની જાણ થતાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે વાદળ ફાટવાના સમાચાર મળ્યા બાદ તેમણે જિલ્લા તંત્ર સાથે સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘટનામાં કેટલીક વાણિજ્યિક દુકાનોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓને આશ્વાસન આપતાં તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે ચાસોટીમાં વાદળ ફાટવાની ઘટના બાદ કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કિશ્તવાડ અને માચૈલમાં બે અત્યાધુનિક પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ (EWS) સ્થાપિત કરી હતી, જ્યારે પેડર વિસ્તારમાં ઓટોમેટિક વેધર સ્ટેશન (AWS) સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.

બીજી તરફ ભારે વરસાદને કારણે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના પહલપોરા વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)ની ટીમો સ્થળ પર પહોંચી હતી અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, જરૂર પડશે તો અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે, સંચિત પાણીનો નિકાલ કરવામાં આવશે તેમજ પાણી ભરાવાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.