‘હું રોજ ઈન્સ્યુલિન માંગું છું, તિહાર તંત્ર ખોટું બોલી રહ્યું છે’ કેજરીવાલે જેલ સુપ્રિટેન્ડેન્ટને લખ્યો પત્ર

April 22, 2024

દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ડાયાબિટિઝની બિમારી અને ઈન્સ્યુલિન મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલે તિહાર જેલના સુપ્રિન્ટેન્ડેન્ટને પત્ર લખી જેલ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે, ‘તિહાડ પ્રશાસન ખોટું બોલી રહી છે, મને ઈન્સ્યુલિન અપાતી નથી.’

કેજરીવાલે કહ્યું કે, ‘મેં સમાચાર પત્રોમાં તિહાર તંત્રનું નિવેદન વાચ્યું હતું, જે વાંચીને મને દુઃખ થયું. તિહાડના બંને નિવેદનો ખોટા છે. હું રોજ ઈન્સ્યુલિન માંગી રહ્યો છું. મેં ગુલુકો મીટરની રીડિંગ બતાવી અને કહ્યું કે, દિવસમાં મારું ત્રણ વાર સુગર હાઈ પર જઈ રહ્યું છે. સુગર 250થી 320 વચ્ચે પહોંચી જાય છે. AIIMSના ડૉક્ટરોએ એવું ક્યારેય કહ્યું નથી કે, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. ડૉક્ટરોએ કહ્યું કે, તેઓ ડેટા અને હિસ્ટ્રી જોઈને કહેશે. તિહારનું તંત્ર રાજકીય દબાણમાં આવી ખોટું બોલી રહ્યું છે.’

બીજીતરફ દિલ્હીના PWDના મંત્રી આતિશી માર્લેનાએ આજે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીની કાર્યવાહી સામે આજે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેજરીવાલે રાઉઝ એવન્યૂ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે કહ્યું છે કે, તેઓ પોતાના સુગર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર સાથે વાતચીત કરી ફરી ઈન્સ્યુલિન લેવા ઈચ્છે છે. ED અને જેલ વહિવટીતંત્રએ કેજરીવાલની આ અરજીનો કોર્ટમાં વિરોધ કર્યો છે.

આતિશીના જણાવ્યા મુજબ ‘કોર્ટમાં હાજર થયેલા ઈડી અને તિહારના વકીલે કહ્યું કે, કેજરીવાલને પોતાના ડૉક્ટર સાથે ન મળવા દેવા જોઈએ. અમે કેજરીવાલને ઈન્સ્યુલિન નહીં લેવા દઈએ. તેમને ઈન્સ્યુલિનની જરૂર નથી. AIIMS ડૉક્ટરો સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર છે. તેઓ જ કહેશે કે તેમને ઈન્સ્યુલિનની જરૂર છે કે નહીં.’

ઉલ્લેખનીય છે કે, રવિવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે, સુનીતા કેજરીવાલની વિનંતી બાદ તિહાર જેલ પ્રશાસને ડૉક્ટરો અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ યોજી હતી. આ દરમિયાન એમ્સના સિનિયર ડાયાબિટિઝ સ્પેશ્યાલિસ્ટ અને આરએમઓ તિહાર અને એમઓ તિહાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટરોએ સીજીએમ (ગ્લૂકોઝ મોનિટરિંગ સેન્સર)નો સંપૂર્ણ રેકોર્ડ અને કેજરીવાલ દ્વારા લેવાતો આહાર, દવાઓની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ દરમિયાન કેજરીવાલે ઈન્સ્યુલિનનો મુદ્દો પણ ઉઠાવ્યો ન હતો અને ડૉક્ટરોએ તેમને તેના ઉપયોગની સલાહ પણ આપી ન હતી.