ઝારખંડમાં વરરાજા ધ્રૂજીને બેભાન થઈ જતા કન્યા મંડપ છોડી જતી રહી

December 17, 2024

દેવધર : ઝારખંડના દેવધર જિલ્લાના ઘોરમારાના નિવાસી અર્ણવના લગ્ન અંકિતા નામની યુવતી સાથે થવાના હતા. બંને પક્ષની મંજૂરી બાદ લગ્ન એક ખાનગી ગાર્ડનમાં થઈ રહ્યા હતા. ઢોલ-નગારા સાથે વરરાજાનું લગ્ન મંડપમાં સ્વાગત પણ થયું. ખુલ્લા આકાશ નીચે વરમાળા પહેરાવાનો કાર્યક્રમ થયો. ત્યાર પછી લગ્નના મંડપમાં બધા પરિવારજન પહોંચ્યા. વરમાળા અને જમણવાર પત્યા પછી વરરાજા અને કન્યા મંડપમાં જ બેસી ગયા હતા. 
આ સાથે જ પંડિતે લગ્ન વિધિ શરૂ કરી અને વરરાજા અર્ણવ અચાનક બેભાન થઈ ગયા. પરિવારજનો અર્ણવને તરત સારવાર માટે રૂમમાં લઈ ગયા, જ્યાં સ્થાનિક ડૉક્ટરને પણ બોલાવાયા. થોડી વાર પછી સ્થિતિ સામાન્ય થતા વરરાજા અર્ણવ મંડપમાં આગળની વિધિ અને સાત ફેરા લેવા ફરી પહોંચ્યા, પરંતુ એ ક્ષણે અંકિતાએ ફેરા લેવા ચોખ્ખી ના પાડી.  અંકિતાનું કહેવું છે કે ‘અર્ણવને કોઈ બીમારી છે, જેથી આ લગ્ન મને મંજૂર નથી.’ આ દરમિયાન અંકિતાની શંકા ખૂબ વધી ગઈ હતી, કારણકે સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં વરપક્ષ જાન લઈને કન્યાના ઘરે જાય છે, પરંતુ આ લગ્નમાં વર પક્ષે કન્યા પક્ષને સામેથી બોલાવ્યા હતા. 


એટલું જ નહીં, આ લગ્ન પણ પ્રાઈવેટ ગાર્ડનમાં કરાવાઈ રહ્યા હતા. બંને પક્ષે વિવાદ વધ્યો અને તેમાં સવારના 5 વાગી ગયા. આ ઘટનાની માહિતી મળતા જ મોહનપુર પોલીસને પણ અપાઈ, જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે બંને પક્ષને સમજાવ્યા, પરંતુ તેઓ વચ્ચે સમાધાન થઈ ના શક્યું. છેવટે સવારે 8 વાગ્યા સુધી વિવાદનો અંત ના આવતા, વરઘોડો પરત જતો રહ્યો હતા.