સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ

December 06, 2025

અમદાવાદ : ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને તિરુવનંતપુરમ સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોટા પાયે રદ કરવામાં આવી છે અથવા મોડી પડી છે, જેના કારણે એરપોર્ટ ટર્મિનલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોએ ઘણી જગ્યાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પર પણ આની નોંધપાત્ર અસર પડી રહી છે.

ઇન્ડિગોના કનેક્ટિવિટી નેટવર્કને કારણે, દેશભરમાં તેની અસર જોવા મળી. એરપોર્ટ સત્તાવાળાઓ અને ઇન્ડિગો દ્વારા મોડી રાત સુધી એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, પરંતુ મધ્યરાત્રિના 12:00 વાગ્યા સુધી પણ પરિસ્થિતિ સુધરવામાં સમય લાગી રહ્યો હતો. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરવનેશનલ એરપોર્ટ (IGI) દ્વારા ગઈકાલે રાત્રે એક મુસાફરોની એડવાઇઝરી જાહેર કરાઈ હતી.

જેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમને અપડેટ કરવા માંગીએ છીએ કે, ઇન્ડિગો ફ્લાઇટ સેવાઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે." આ સાથે જ IGI એ મુસાફરોને તેમની વેબસાઇટ અને એરલાઇન્સનો સીધો સંપર્ક કરવાની પણ સલાહ આપી હતી.

આ એડવાઇઝરી દિલ્હી એરપોર્ટના સત્તાવાર X હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ ટર્મિનલ્સ રાતભર ભીડથી ભરેલા રહ્યા કારણ કે ઘણા મુસાફરો અનિશ્ચિતતા વચ્ચે નવી અપડેટની રાહ જોઈ રહ્યા હતા.