ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં : ભારત

May 10, 2025

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય મહત્ત્વની પોષ્ટ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહી (યુદ્ધવિરામ) રોકવાનો નિર્ણય બંને દેશોએ વાતચીત બાદ લીધો છે. આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની મધ્યતાથી યુદ્ધવિરામ થઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને આઈબી મંત્રાલયે તેમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા ન હોવાની માહિતી શેર કરી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે (10 મે) સાંજે 6 વાગ્યાને 7 મિનિટે એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે બંને દેશો વચ્ચે સીધી ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ આજે ​​બપોરે કોલ કર્યો હતો, ત્યારબાદ ચર્ચા થઈ હતી અને સમજૂતી થઈ હતી. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.’