બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા

July 16, 2026

બંગાળની ખાડીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મ્યાનમારના અત્યાચારથી બચવા માટે પલાયન કરી રહેલા લઘુમતી રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી 2 મોટી નાવ (બોટ) સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ ભયાનક દરિયાઈ અકસ્માતમાં 500 થી વધુ લોકોના કરુણ મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓએ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને નાવ જૂન મહિનાના અંતમાં મ્યાનમારના પશ્ચિમ રાજ્ય રખાઇનથી રવાના થઈ હતી. આ નાવમાં સવાર મોટાભાગના મુસાફરો રોહિંગ્યા સમુદાયના હતા. આ સિવાય કેટલાક એવા શરણાર્થીઓ પણ હતા જેમણે બાંગ્લાદેશની સરહદ પર આવેલા શરણાર્થી શિબિરો (રીફ્યુજી કેમ્પ) માંથી ગેરકાયદેસર અને જોખમી રીતે આ દરિયાઈ મુસાફરી શરૂ કરી હતી.

આ દુર્ઘટના અંગે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) અને યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) દ્વારા એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ પહેલી નાવ: આ બોટમાં આશરે 250 જેટલા લોકો સવાર હતા. રવાના થયાના થોડા જ સમય બાદ આ નાવનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો.બીજી નાવ: આશરે 280 લોકોને લઈ જઈ રહેલી બીજી બોટ 8 જુલાઈના રોજ મ્યાનમારના અય્યાયારવાડી કિનારા નજીક સમુદ્રમાં ડૂબી ગઈ હોવાનું માનવામાં આવે છે. બંને બોટના મળીને કુલ 530 લોકો હાલ લાપતા છે અને દરિયાની સ્થિતિ જોતાં હવે તેમના બચવાની આશા નહિવત હોવાનું આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે.

આ ઘટનાએ ફરી એકવાર રોહિંગ્યા શરણાર્થીઓની સુરક્ષા અને દરિયાઈ માર્ગે થતી જોખમી માનવ તસ્કરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વધુ સારા જીવનની આશામાં શરણાર્થીઓ ક્ષમતા કરતા વધુ લોકોને ભરીને જતી આવી જર્જરિત બોટનો સહારો લે છે, જે અંતે કાળમુખી સાબિત થાય છે.