દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર...' CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો

June 04, 2025

ભારતના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, તાજેતરમાં કેટલાક એવા મામલા સામે આવ્યા છે જે ન્યાયપાલિકા પર લોકોનો વિશ્વાસ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. સીજેઆઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ચર્ચા વચ્ચે, સીજેઆઈ ગવઈએ એમ પણ કહ્યું છે કે લોકતંત્રમાં કોઈ પણ તપાસથી ઉપર નથી. CJI ગવઈ યુ.કે. સુપ્રીમ કોર્ટ રાઉન્ડટેબલમાં ન્યાયિક પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવાના વિષય પર બોલી રહ્યા હતા. આ દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે, 'કોઈપણ પ્રણાલીમાં આવી સમસ્યાઓ આવી શકે છે, પછી ભલે તે ગમે તેટલી મજબૂત હોય. દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર અને દુરાચારના મામલા સામે આવ્યા છે. આવી ઘટનાઓથી સમગ્ર પ્રણાલી પર જનતાનો વિશ્વાસ ઘટી શકે છે.' જસ્ટિસ ગવઈએ ન્યાયપાલિકામાં પ્રામાણિકતા, પારદર્શિતા અને તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. CJI ગવઈએ કહ્યું કે, 'ન્યાયપાલિકામાં લોકોનો વિશ્વાસ બનાવી રાખવા માટે આ મુદ્દાઓના ઉકેલ માટે ઝડપી, નિર્ણાયક અને પારદર્શક કાર્યવાહીની જરૂર છે. ભારતમાં સુપ્રીમ કોર્ટે આવા કેસ સામે આવતાં તાત્કાલિક કાર્યવાહી કરી છે અને તેનો સામનો કરવા માટે વ્યાપક પગલાં ભર્યા છે. ચીફ જસ્ટિસે ભારતીય ન્યાયપાલિકા દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તપાસથી ઉપર ન હોઈ શકે, ભલે તે ન્યાયાધીશ જ કેમ ન હોય. ન્યાયાધીશો લોકો પ્રત્યે જવાબદાર છે અને તેઓ તપાસથી ઉપર ન હોઈ શકે. તમને જણાવી દઈએ કે સરકાર સંસદના આગામી સત્રમાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. મંગળવારે સૂત્રોએ માહિતી આપી હતી કે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ સંદર્ભમાં વિપક્ષી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.