કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'ની ઐતિહાસિક યાત્રા

February 25, 2026

કેન્દ્રીય મંત્રીમંડળે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ કેરળ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને 'કેરળમ'(Keralam) રાખવાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે કેરળ ભારતીય સંઘનો ભાગ કેવી રીતે બન્યું અને એક સમયના શક્તિશાળી ત્રાવણકોર રજવાડાનું શું થયું.

આ નિર્ણય કેરળની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન્ય રાખીને લેવામાં આવ્યો છે. મલયાલમ ભાષામાં રાજ્યને હંમેશાં 'કેરળમ' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં તેનું નામ 'કેરળ' દર્શાવવામાં આવ્યું હતું. કેરળ વિધાનસભાએ 2023 અને 2024માં સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને નામ બદલવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ઠરાવ રજૂ કર્યો હતો. 

‘Kerala’ અંગ્રેજીકૃત સ્વરૂપ છે; મલયાલમ ભાષામાં રાજ્યનું મૂળ નામ ‘Keralam’ છે. ‘અંગ્રેજી પ્રભાવથી દૂર થવા માટે’ અને ‘સ્થાનિક ઉચ્ચાર અને ભાષાકીય પ્રામાણિકતા જાળવવા માટે’ કેરળનું નામ બદલવાની માંગ ઊઠી હતી. કેરળવાસીઓની દલીલ છે કે, રાજ્યના નામમાં સ્થાનિક ભાષા પ્રતિબિંબિત થવી જોઈએ.