લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

December 14, 2024

પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઑગસ્ટ મહિનામાં પણ અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીને એક મહિના પહેલા 26મી જૂન રાત્રે વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલૉજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. એલ. કે. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30મી માર્ચે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને 'ભારત રત્ન' એનાયત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. વર્ષ 2015માં પદ્મ વિભૂષણ ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો.