અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

June 27, 2025

આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે.

આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આજે સવારે પહિંદ વિધિ પહેલાં ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ક્યારેય ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નહતું.

ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી અમદાવાદની જગન્નાથ રથયાત્રા આવતીકાલે 27 જૂને નીકળવાની છે, ત્યારે આજે (26 જૂન) ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરસપુર રણછોડરાય મંદિરે દર્શન માટે પહોચ્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

ભગવાન જે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે, તેવા ત્રણેય રથનું ગઈકાલે પૂજન કરવામાં આવ્યું હતું. પંરપરાગત રીતે રથયાત્રા પહેલા ગજરાજ અને રથની પૂજન વિધિ કરવામાં આવી હતી. ભગવાનની શાહી સવારી એવા રથને પંરપરાગત રીતે મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. ભગવાનના રથો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ઢોલ નગારાના તાલ સાથે હર્ષોઉલ્લાસ સાથે રથ મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં ભગવાનના અતિપ્રિય રાસ ગરબા આદિવાસી નૃત્યુ કરવામાં આવ્યું હતું. જેની સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

અમદાવાદમાં રથયાત્રાના પગલે મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. લોકોને મુશ્કેલી ના પડે તે માટે અમદાવાદ પોલીસે કેટલાક વિસ્તારોને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી 'નો પાર્કિગ ઝોન' જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ મલિક દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, (બી.આર.ટી.એસ. રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.