PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત

March 14, 2026

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પૂર્વે સ્થિતિ તંગ બની ગઈ છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં પથ્થરબાજીને કારણે અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે અને અદૃશ્ય તણાવને જોતાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.બંગાળના મંત્રી ડૉ. શશી પાંજાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપના કાર્યકર્તાઓએ તેમના ગિરીશ પાર્ક સ્થિત કાર્યાલય અને નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો. ડૉ. પાંજાના જણાવ્યા અનુસાર બહારના લોકોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. ભાજપના સમર્થકોને લઈ જતી બસોમાં અગાઉથી જ પથ્થરો ભરેલા હતા. આ હુમલામાં અનેક TMC કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. બીજી તરફ, ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢતા વળતો પ્રહાર કર્યો છે. ભાજપનો દાવો છે કે, વડાપ્રધાનની રેલીમાં જઈ રહેલા ભાજપના વાહનો પર TMC કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં ઉત્તર કોલકાતા જિલ્લા ભાજપ પ્રમુખ તમોઘ્ન ઘોષ સહિત અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે.ઘટનાની ગંભીરતાને જોતાં ગિરીશ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ઉતારી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રેલી પહેલા થયેલી આ અથડામણે રાજકીય વાતાવરણને વધુ ગરમાવી દીધું છે.