કેનેડા ભારતમાં ગેસની અછત વચ્ચે ભારતની મદદે આવ્યો

March 11, 2026

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગે વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાની ચિંતા વધારી દીધી છે. પશ્ચિમ એશિયાના દેશોમાંથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાતા ભારતમાં પણ તેની અસરો વર્તાવા લાગી છે. આ કટોકટીના સમયે કેનેડાએ ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. કેનેડાએ ભારતની વધતી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સપ્લાય કરવાની ઓફર કરી છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક નિવેદન આપતાં જણાવ્યું કે, કેનેડા એક એનર્જી સુપરપાવર તરીકે ભારતની જરૂરિયાતો પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. બુધવારે પીએમ મોદી સાથેનો એક વીડિયો શેર કરતાં કાર્નીએ કહ્યું કે, "વર્ષ 2040 સુધીમાં ભારતની ઊર્જાની માંગ બમણી થવાનો અંદાજ છે અને કેનેડા આ માટે સૌથી ભરોસાપાત્ર ભાગીદાર સાબિત થઈ શકે છે."
પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે કતર જેવા દેશોમાંથી થતો ગેસ સપ્લાય પ્રભાવિત થયો છે. જેના કારણે કિંમતોમાં ઉછાળો આવ્યો છે. માર્ક કાર્નીએ ભારપૂર્વક કહ્યું કે કેનેડા દુનિયાનું સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન ધરાવતું અને સુરક્ષિત રીતે ઉત્પાદિત LNG સપ્લાય કરે છે. આ ગેસનો ઉપયોગ ભારતના ઉદ્યોગો અને વીજ ઉત્પાદન માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

માત્ર ગેસ જ નહીં, પરંતુ કેનેડાએ ભારતના મેન્યુફેક્ચરિંગ અને ક્લીન ટૅક્નોલૉજી સેક્ટર માટે જરૂરી મહત્ત્વના ખનિજો પણ પૂરા પાડવાની તૈયારી દર્શાવી છે. કેનેડામાં વિશ્વની અંદાજે 40% માઇનિંગ કંપનીઓ આવેલી છે, જે ભારતની વધતી અર્થવ્યવસ્થા માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક રહેશે.

ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સંકેત આપ્યા કે, ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત રાખવા માટે પશ્ચિમ એશિયા પરની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. ભારત હવે કેનેડા જેવા અન્ય દેશો સાથે મળીને તેલ, LPG અને યુરેનિયમની આયાત માટે નવા રૂટ અને સ્ત્રોતો શોધી રહ્યું છે. જેથી દેશમાં ઈંધણની ઉપલબ્ધતા સ્થિર રહે અને સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.