ઈરાન જતા રહો...' કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું - 'આ દેશ કોઈના બાપનો નથી...'

March 14, 2026

ઉત્તર પ્રદેશના સંભલમાં તહેનાત CO કુલદીપ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જુમ્માની નમાઝ (શુક્રવારની નમાઝ) અંગે કડક સૂચનાઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો ઈરાનના સમર્થનમાં પ્રોટેસ્ટ કરશે અથવા રસ્તા અરાજકતા ફેલાવશે તેમનો પોલીસ 'યોગ્ય ઈલાજ' કરશે. જે લોકો ઈરાન માટે દુ:ખી થઈ રહ્યા છે તેમણે સીધા ઈરાન જતું રહેવું જોઈએ. હાલમાં CO કુલદીપ કુમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ COના નિવેદનની આકરી ટીકા કરી અને તેમના પર ભડક્યાં છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'આ દેશ કોઈના બારનો નથી જે અમને ક્યાંય જવા માટે કહી રહ્યા છે.'
તમને જણાવી દઈએ કે, એક જાહેર રેલીને સંબોધિત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 'મેં પણ સંભલ COનો વીડિયો જોયો છે. તેમાં તેઓ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમોને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને ઈરાનનું નામ લઈને ધમકાવે છે. શું આ દેશ તેમના (CO)ના બાપનો છે? દેશ બંધારણથી ચાલશે કે કોઈના શબ્દોથી?' ઓવૈસીના મતે સંભલ CO બેન્જામિન નેતન્યાહૂની 'બોલી' બોલી રહ્યા છે. શું ગેરંટી છે કે જો કાલે ઈઝરાયલના સમર્થનમાં રેલી કાઢવામાં આવશે તો તેઓ તેને રોકી દેશે? તેના બદલે તે જય-જયના નારા લગાવશે. આ દેશમાં વાણીની સ્વતંત્રતા છે, કાયદો પણ છે, તો પછી શા માટે કોઈના અધિકારો છીનવાઈ રહ્યા છે? બીજી તરફ ઈરાન યુદ્ધ અને પીએમ પર બોલતા AIMIM ચીફે કહ્યું કે, 'ભારત આ રીતે કેમ વર્તન કરી રહ્યું છે? દેશના વડાપ્રધાને ઈરાન પરના હુમલાની નિંદા કરવી જોઈતી હતી. પીએમએ દોહા, દુબઈ, બહેરીન અને કુવૈતમાં થયેલી ઘટનાઓની નિંદા કરવી જોઈતી હતી. તમે જઈને ટ્રમ્પ અને નેતન્યાહૂ સાથે કેમ બેસી ગયા? શું આ જ આપણી વિદેશ નીતિ છે? અમે 80 વર્ષથી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારત હંમેશા પેલેસ્ટિનિયનો સાથે એકજૂઠ ઉભું રહ્યું છે. કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્ર પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમે પણ પાકિસ્તાન પર પણ હુમલો કર્યો. લોકો પૂછી શકે છે: તે કેવી રીતે વાજબી હતું? યુએન ચાર્ટરની કલમ 51 આપણને આવું કરવાનો અધિકાર આપે છે. પરંતુ ટ્રમ્પ અને નેતન્યાહૂએ ઈરાન પર હુમલો કેમ કર્યો?'
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં શાંતિ સમિતિની બેઠકમાં સંભલના CO (પોલીસ કમિશનર) એ કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં જે કોઈને પણ ઈરાનની ચિંતા થઈ રહી છે તેઓ જહાજમાં બેસીને ઈરાન જતા રહો અને ત્યાંથી લડાઈ લડો.  COએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શુક્રવારની નમાજ દરમિયાન કોઈપણ દેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અથવા કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કરવો એ સાંખી લેવામાં નહીં આવે. રસ્તાઓ પર નમાજ પઢવા સામે સૂચનાઓ જારી કરતા CO એ કહ્યું હતું કે, કોઈએ મસ્જિદની બહાર રસ્તા પર કોઈ વ્યક્તિ નમાઝ અદા નહીં કરશે. જો કોઈ કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જેલ હવાલે કરી દેવાશે.