જયપુરમાં LPG ટેન્કરે યુ-ટર્ન લેતાં જ અકસ્માત, ભયાનક વિસ્ફોટ, 11 મોત

December 20, 2024

જયપુર : જયપુરમાં આજે વહેલી સવારે બનેલા ભીષણ અકસ્માતના સીસીટીવી ફુટેજ જાહેર થયા છે. જેમાં એલપીજી ટ્રક યૂટર્ન લઈ રહ્યો હતો, તે સમયે અચાનક એક ટ્રક પુરઝડપે આવી એલપીજી ટ્રકને અથડાય છે. જેના લીધે એલપીજી ટ્રકની નોઝલ તૂટી જતાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતાં જ થોડી જ ક્ષણોમાં બ્લાસ્ટ થાય છે અને આગના ગોટેગોટા જોવા મળે છે.


બંને ટ્રક વચ્ચે અકસ્માત બાદ પ્રસરેલી આગની ચપેટમાં આસપાસમાં ઉભેલી અને પસાર થઈ રહેલી 40 ગાડીઓ આવી ગઈ હતી. જેમાં પાંચ લોકો જીવતા ભૂંજાયા હતા. લોકોના શબને પોટલામાં લઈ જવામાં આવ્યા હતા. 40થી વધુ લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 6 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધી આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટાભાગના લોકો 50 ટકાથી વધુ દાઝ્યા છે. જેથી મૃતકોનો આંકડો વધવાની ભીતિ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રીથી માંડી દેશના ગૃહ મંત્રી સુધી તમામે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજસ્થાનના મંત્રી ગજેન્દ્ર સિંહ ખિમસરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં વધુ બેડ લગાવવામાં આવ્યા છે. જેથી તમામની સારવાર થઈ શકે. જયપુરની આ દુર્ઘટનાને સ્થાનિક લોકોએ માનવસર્જિત ગણાવી છે. કારણકે, અકસ્માતના સ્થળ પર નેશનલ હાઈવે દિલ્હી અજમેર પર બ્રિજના કામકાજ અધૂરા રહેતાં યૂ ટર્ન લેવા લોકો મજબૂર બન્યા છે. બ્રિજના પિલ્લરના કામકાજ કરી દીધા છે. પરંતુ ભજનલાલ સરકારે બ્રિજ બનાવ્યો નથી. જેથી આગ્રા-કોટા જવા માટે રિંગ રોડ પર ચડવા યૂ ટર્ન લેવો ફરિજ્યાત છે.