ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં 'મહાભારત', થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો

December 06, 2025

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે અને આ વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વરિષ્ઠ નેતા શશી થરૂર છે.  5 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ તરફથી માત્ર કોંગ્રેસના સાંસદ શશી થરૂરને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે તેમાં હાજરી પણ આપી. જોકે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતા, થરૂર હવે તેમની જ પાર્ટીના નેતાઓના નિશાને આવી ગયા છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ શશી થરૂરના ડિનરમાં જઈ આવવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સવાલ ઉઠાવ્યો કે શું થરૂરને આ 'રમત' વિશે ખબર નહોતી. તેમણે કહ્યું કે, 'જ્યારે મારા નેતાઓને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ મને આપવામાં આવે છે, તો આપણે સમજવું જોઈએ કે આ રમત શા માટે રમાઈ રહી છે, કોણ આ રમત રમી રહ્યું છે અને આપણે તેનો ભાગ શા માટે ન બનવું જોઈએ..."
ડિનરમાં જોડાતા પહેલા શશી થરૂરે પણ એક નિવેદન આપ્યું હતું કે, 'હું ચોક્કસપણે ડિનરમાં હાજરી આપીશ.' જોકે, તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે વિપક્ષના નેતાઓને ન બોલાવવા તે યોગ્ય નથી. થરૂરે કહ્યું, 'મને ખબર નથી કે આમંત્રણ કયા આધારે મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ હું ચોક્કસ જઈશ. પરંતુ તે પણ યોગ્ય નથી કે વિપક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી.' આ ઘટના પહેલાં 4 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વિદેશી ડેલિગેશનોને મળવા માટે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવાની પરંપરા તોડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, સરકારે આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, '9 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા ત્યારથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત ઓછામાં ઓછા ચાર રાષ્ટ્રાધ્યક્ષોને મળી ચૂક્યા છે.'