પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે મહાકુંભ

December 14, 2024

ધર્મ અને આસ્થાના સમન્વય એવા મહા કુંભ ૨૦૨૫ શરૂ થવા જઈ રહ્યું છે.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી એમ આ મહાકુંભ ૪૫ દિવસ સુધી ચાલશે.આ દરમિયાન હજારો ભક્તો અહીં પહોંચશે.એક ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત, મહાકુંભ 2025 આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. ઉદ્યોગપતિઓ પણ મહાકુંભમાંથી મોટી કમાણીની આશા રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતરોજ એટલે કે શુક્રવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે રૂ.૫૫૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
મહાકુંભમાં આ વર્ષે આટલી સંખ્યા રહી શકે છે

આ વખતે મહાકુંભ ખૂબ જ ભવ્ય થવાનો છે. પ્રયાગરાજમાં યોજાનાર 2025ના મહાકુંભમાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યારે 25 કરોડ ભક્તો 2019ના કુંભમાં પહોંચ્યા હતા.આ વખતે મેળાના મેદાનનો વિસ્તાર 4,000 હેક્ટર છે, જે 2019 કરતા 20% વધુ છે. આ વિસ્તારને 25 સેક્ટરમાં વહેંચવામાં આવશે. એ જ રીતે, આ વખતે ટેન્ટ સિટીનું કદ પણ 2019ની સરખામણીમાં બમણું છે, તેમાં કુલ 1.6 લાખ ટેન્ટ હશે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા અનેક ઘાટો કોંક્રીટ બનાવવામાં આવ્યા છે.