સંસદીય બાબતોના મંત્રાલયે 11 સપ્ટેમ્બર 2024એ લોન્ચ કરેલા એનવાયપીએસ 2.0 પોર્ટલમાં 1 લાખથી વધુ લોકો જોડાયા

August 11, 2026

યુવાનોને સંસદીય પ્રક્રિયા અને લોકશાહી વ્યવસ્થાની સમજ મળે તે માટે સંસદીય બાબતોના મંત્રાલયે નેશનલ યુથ પાર્લામેન્ટ સ્કીમ એટલે કે એનવાયપીએસના વેબ પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવા પોર્ટલને એનવાયપીએસ 2.0 નામ આપવામાં આવ્યું છે. અગાઉનું પોર્ટલ માત્ર માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત હતું.

જ્યારે એનવાયપીએસ 2.0 ને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. હવે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ જૂથો અને સામાન્ય નાગરિકો પણ તેમાં જોડાઈ શકે છે. એનવાયપીએસ 2.0 નું લોન્ચિંગ 11 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ પોર્ટલ પર મોટી સંખ્યામાં સંસ્થાઓ, જૂથો અને વ્યક્તિગત નાગરિકોએ નોંધણી કરાવી છે.

21 જુલાઈ 2026 સુધીના આંકડા મુજબ પોર્ટલ પર કુલ 4,939 સંસ્થાકીય નોંધણીઓ થઈ છે. આ સંસ્થાઓ દ્વારા 1,611 યુથ પાર્લામેન્ટ સેશન અથવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 54,518 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત જૂથ કેટેગરી હેઠળ પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ મોડમાં 732 નોંધણીઓ થઈ છે અને અત્યાર સુધીમાં 26 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોમાં 982 નાગરિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વ્યક્તિગત ભાગીદારી હેઠળ 48,291 નાગરિકો અને વિદ્યાર્થીઓ સીધા પોર્ટલ સાથે જોડાયા છે. આમ સંસ્થાકીય, જૂથ અને વ્યક્તિગત ભાગીદારીને મળીને એનવાયપીએસ 2.0 સાથે જોડાયેલા કુલ ભાગ લેનારાઓની સંખ્યા 1,03,791 થઈ છે. યુથ પાર્લામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોને સંસદીય લોકશાહી, ચર્ચા-વિચારણા, નીતિ નિર્માણ અને લોકશાહી પ્રક્રિયાની વ્યવહારુ સમજ આપવાનો છે.