મૉસ્કો હુમલા બાદ રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર, પુતિને કહ્યું- 'હું સોગંદ ખાઉ છું કે તેમને છોડીશું નહીં'

March 23, 2024

મૉસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવાર રાત્રે મૉસ્કોના એક કૉન્સર્ટ હૉલમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેની સાથે જ રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત પણ કરી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, અનેક નિર્દોષ લોકો ક્રોકસ સિટી હૉલમાં આતંકવાદી હુમલાનો શિકાર બની ગયા. મને વિશ્વાસ છે કે ક્રોકસ સિટી હૉલમાં આતંકવાદી હુમલાના પીડિતોનો જીવ બચાવવા માટે ડૉક્ટરો તમામ પ્રયાસ કરશે. તેની સાથે જ પુતિને કહ્યું કે, આ હુમલા પાછળ જે પણ છે, હું સોગંદ ખાઉ છું કે તેમને છોડવામાં નહીં આવે. તેમણે એ પણ દાવો કર્યો છે કે બંદૂકધારીઓએ યૂક્રેન ભાગવાના પ્રયાસ કર્યા છે.
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ સીરિયા એન્ડ ઈરાક (ISIS)એ શુક્રવારે મૉસ્કોના ક્રોકસ કૉન્સર્ટ હૉલમાં થયેલા ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ ભયંકર હુમલામાં 93 લોકોના મોત થયા અને 145 લોકો ઈજાગ્રસ્ત થયા. ISISએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મૉસ્કોના બહારના વિસ્તારમાં આવેલ ક્રોકસ કૉન્સર્ટ હૉલમાં હુમલો કર્યો. હુમલાખોર સુરક્ષિત રીતે પોતાના ઠેકાણાઓ પર પરત આવ્યા છે.'

- અમે કરી રહ્યા છીએ આતંકવાદી હુમલાની તપાસ : રશિયા
જ્યારે હુમલો થયો તે સમયે ક્રોકસ સિટી હૉલમાં સોવિયત કાળના જાણિતા મ્યૂઝિક બેન્ડ 'પિકનિક'નું પરફૉર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યૂઝિક કૉન્સર્ટમાં 62000 લોકો હાજર હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે, અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સતત અપડેટ કરાઈ રહ્યા છે. રશિયન વિદેશ મંત્રાલયે આ આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને ઈન્ટરનેશનલ સમુદાયે તેને જઘન્ય અપરાધની નિંદા કરવાની અપીલ કરી છે. આ આતંકવાદી હુમલા એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટી જીત મેળવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમો કાર્યકાળ સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફથ રશિયા ગત બે વર્ષથી યૂક્રેનની સાથે યુદ્ધ લડી રહ્યું છે.