આવતીકાલે હીટવેવની આગાહી વચ્ચે 13 રાજ્યોમાં 88 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી

April 25, 2024

નવી દિલ્હી  : 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે (26 એપ્રિલ)ના રોજ 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો પર મતદાન થશે. આ મતદાન રાહુલ ગાંધી, શશિ થરૂર, હેમા માલિની, અરૂણ ગોવિલ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી કરશે.

પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારનાં મૃત્યુ બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી થશે.

2019માં ભાજપે સૌથી વધુ 50 સીટો જીતી હતી અને એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,097 પુરૂષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ 1,192 ઉમેદવારોના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાંથી 21% એટલે કે 250 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 500 થી 1000 રૂપિયાની સંપત્તિ છે.

ADRના રિપોર્ટ અનુસાર, 14 ટકા એટલે કે 167 ઉમેદવારો એવા છે જેમની સામે ગંભીર કેસ નોંધાયેલા છે. ગંભીર કેસોમાં હત્યા અને અપહરણ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 ઉમેદવારો સામે હત્યા અને 24 સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. 25 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. તેમાંથી એક સામે બળાત્કારનો કેસ પણ નોંધાયેલ છે. તેમજ, 21 ઉમેદવારો સામે હેટ સ્પિચ સંબંધિત કેસ નોંધાયેલા છે.

કેરળ ભાજપના અધ્યક્ષ અને વાયનાડ બેઠકના ઉમેદવાર કે. સુરેન્દ્રન પર સૌથી વધુ 243 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમજ, રાજ્યની એર્નાકુલમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. કે.એસ. રાધાકૃષ્ણન વિરુદ્ધ 211 ગુનાહિત કેસ નોંધાયેલા છે. ત્રીજા નંબર પર ઇડુક્કી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ડીન કુરિયાકોસે તેમની સામે 88 ફોજદારી કેસ નોંધાયેલા છે.

ADR અનુસાર, બીજા તબક્કાના 1,192 ઉમેદવારોમાંથી 390 એટલે કે 33 ટકા કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.17 કરોડ રૂપિયા છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 300 થી 1000 રૂપિયાની સંપત્તિ છે.

મહારાષ્ટ્રના નાંદેડથી અપક્ષ ઉમેદવાર લક્ષ્મણ નાગોરાવ પાટીલ પાસે કુલ 500 રૂપિયાની સંપત્તિ છે. કેરળના કાસરગોડની રાજેશ્વરી કેઆરએ કુલ 1,000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને અમરાવતી, મહારાષ્ટ્રના પૃથ્વીસમ્રાટ મુકીન્દ્રાવ દીપવંશે કુલ 1,000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.