પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે- ગ્રીસ નેતા

March 24, 2024

એથેન્સ- પાકિસ્તાન છાશવારે કાશ્મીરમાં ભારત અત્યાચાર કરી રહ્યુ હોવાનુ ઝેર ઓકતુ રહે છે પણ હવે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં  લોકો પર થઈ રહેલા અત્યાચારની વિગતો વૈશ્વિક સ્તરે સામે આવી રહી હોવાથી પાકિસ્તાનની અસલિયત દુનિયા સમક્ષ ઉઘાડી પડી રહી છે. યુરોપિયન દેશ ગ્રીસના નેતા કોન્સ્ટેન્ટિનોઝ બોગદાનોઝે યુએનના જિનિવા ખાતે આવેલા કાર્યાલયમાં તુર્કીના કબ્જા હેઠળના સાઈપ્રસનો ઉલ્લેખ કર્યો હતો અને આ દરમિયાન પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની સરખામણી કરતા કહ્યુ હતું કે, પાકિસ્તાને બીજાને બદનામ કરતા પહેલા પોતાનો ચહેરો અરિસામાં જોવાની જરુર છે. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર તેમજ ગિલગિટ અને બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં લોકો પર અત્યાચારથી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજની દુનિયામાં કોઈ પણ દેશ પોતાના લોકોને પાયાની સ્વતંત્રતાના અધિકારથી વંચિત રાખવાનુ જોખમ ઉઠાવી શકે નહીં અને જ્યારે હું પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની વાત કરું છું ત્યારે તુર્કીના કબ્જા હેઠળના સાઈપ્રસ અંગે વિચારું છુ. ભારત અને ગ્રીસ આક્રમકતા અને અત્યાચાર સામે ખભે ખભા મીલાવીને ઉભા છે. હું પાકિસ્તાનની સકારને કાશ્મીર તેમજ ગિલગિત અને બાલ્ટિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય કાયદા, લોકશાહી અને સમાનતાના પરિપ્રેક્ષ્યમાં પોતાની નીતિ પર ફરી વિચારણા કવા માટે અપીલ કરુ છું. કોન્સ્ટેન્ટિનોઝ બોગદાનોઝ દ્વારા યુએનમાં રજૂ કરાયેલા રિપોર્ટ પાછળનુ એક કારણ એ પણ છે કે તુર્કીએ સમગ્ર સાયપ્રસ પર પોતાનો દાવો ઠોકયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને તાજેતરમાં કહ્યુ હતુ કે, 1974માં તુર્કીની સેનાએ આખા સાયપ્રસ પર કબ્જો કરી લીધો હોત તો આજે સાયપ્રસ નામની સમસ્યા જ રહી ના હોત. બીજી તરફ સાયપ્રસનો બચાવ કરી લહેલા ગ્રીસે તુર્કીના આ નિવેદનનો વિરોધ કર્યો છે.