બાંગ્લાદેશમાં આતંકવાદીઓના હાથમાં સત્તા, યુનુસે દેશ અમેરિકાને વેચી દીધો: શેખ હસીના

May 25, 2025

ઢાંકા ઃ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશની પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'યુનુસે આતંકવાદીઓની મદદથી બાંગ્લાદેશમાં સત્તા હાંસલ કરી છે અને આમાંના ઘણા આતંકવાદી સંગઠનો એવા છે, જેમના પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત છે.
પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, 'યુનુસે સત્તા કબજે કરવા માટે પ્રતિબંધિત લોકોની મદદ લીધી હતી, જેમનાથી અમે અત્યાર સુધી બાંગ્લાદેશના લોકોને સુરક્ષિત રાખ્યા હતા. માત્ર એક આતંકવાદી હુમલા પછી અમે કડક પગલાં લીધા હતા. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે બાંગ્લાદેશની જેલો ખાલી છે. યુનુસે આવા બધા લોકોને છુટા કરી દીધા છે અને હવે તે આતંકવાદીઓ બાંગ્લાદેશ પર રાજ કરે છે.'


શેખ હસીનાએ વધુમાં કહ્યું, 'આપણા મહાન બંગાળી રાષ્ટ્રનું બંધારણ જે આપણે લાંબા સંઘર્ષ અને મુક્તિ યુદ્ધ દ્વારા હાંસલ કર્યું છે, આ ઉગ્રવાદી નેતા કે, જેમણે ગેરકાયદેસર રીતે સત્તા કબજે કરી છે, તેમને બંધારણને સ્પર્શ કરવાનો અધિકાર કોણે આપ્યો?  યુનુસના મુખ્ય સલાહકાર પદ પર રહેવાનો કોઈ આધાર નથી અને તેનું કોઈ અસ્તિત્વ જ નથી.' શેખ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે, યુનુસે અવામી લીગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.