વિરોધ કરવાનો અધિકાર..પણ અપશબ્દો બોલવા અયોગ્ય',- ધીરેન્દ્ર શાસ્ત્રી

August 02, 2026

દિલ્હી : બાગેશ્વર ધામના પીઠાધીશ અને કથાવાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર પર હાલમાં જ થયેલા Gen-Z પ્રદર્શનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, દેશમાં વિરોધ નોંધાવવો એ સૌનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ પ્રદર્શનના નામે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરવો બિલકુલ ખોટો છે. પંડિત શાસ્ત્રી વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશના કટની જિલ્લાના પ્રવાસે છે. તેઓ કટનીના કુઠલા વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમના શિષ્યો દ્વારા નિર્મિત 'બાગેશ્વર બાલાજી'ના નવા મઠનું નિર્માણ થયું છે. તેમણે યુવાનોને સભ્ય વાતચીત અને ભારતીય સંસ્કૃતિની મર્યાદામાં રહેવાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરીને દેશની વર્તમાન પરિસ્થિતિ પર પણ પોતાનો પક્ષ રાખ્યો હતો.


જંતર-મંતર પર થયેલા પ્રદર્શનો પર બોલતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, દરેક માણસને પોતાની વાત રાખવાનો અને વિરોધ દર્શાવવાનો પૂરો હક છે. પરંતુ પોતાની વાત રજૂ કરતી વખતે કોઈની મા કે પરિવાર માટે ગંદા શબ્દોનો ઉપયોગ કરવો ખોટો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ભાષા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની સાવ વિરુદ્ધ છે. યુવાનોએ વિરોધ કરતી વખતે પોતાની મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશના યુવાનોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આજે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે, એવામાં આપણે વિવાદ કરવાને બદલે પરસ્પર સંવાદનો રસ્તો પસંદ કરવો જોઈએ. યુવાનો હંમેશાં પોતાની વાત શાંતિ, પ્રેમ અને મર્યાદિત ભાષામાં રાખે.
વાતચીત દરમિયાન તેમણે શ્રાવણ મહિનો અને કાવડ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો.