હિમાચલમાં ભૂસ્ખલન થતાં મુસાફરો ભરેલી ટાટા સુમો પર ખડકો પડ્યા, 13ના મોત; 2 ઘાયલ

July 25, 2026

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં પાંગી-ઉદયપુર માર્ગ પર ભૂસ્ખલનને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. કુડુનાલા નજીક ચાલતી ટાટા સુમો પર ટેકરી પરથી મોટા ખડકો તૂટી પડતાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. લાહૌલ-સ્પિતિ પોલીસે ઘટનાની પુષ્ટિ કરીને બચાવ કામગીરી માટે ટીમ મોકલી છે. અકસ્માત લાહૌલ ખીણથી આશરે 60-70 કિલોમીટર દૂર થયો હતો.

ભરમૌરના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે ચંબા અને લાહૌલ-સ્પિતિના ડેપ્યુટી કમિશનરોને રાહત કામગીરી ઝડપી બનાવવા વિનંતી કરવામાં આવી છે. પીડિતો ચંબા જિલ્લાના રહેવાસી હતા. ઉદયપુર-કિલ્લાર રોડ પર કાડુ નાલા નજીક અચાનક ભૂસ્ખલન થતાં કુલ્લુથી પાંગી જઈ રહેલી ટેક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. એક ઘાયલને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય મુસાફરો માટે શોધખોળ ચાલુ છે.

ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું કે ટીંડી નજીક અકસ્માત સમયે વાહન લાહૌલ-સ્પિતિ તરફ જઈ રહ્યું હતું. પર્વતનો મોટો ભાગ વાહન પર તૂટી પડતાં આશરે 13 લોકોના મોત થયા હતા. બચાવાયેલા લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને લાહૌલ-સ્પિતિની ટીમ પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે.

ઉદયપુર-કિલ્લાર માર્ગ અગાઉના દિવસે ભૂસ્ખલનને કારણે બંધ હતો, જેના કારણે મુસાફરો ટીંડી ખાતે અટવાઈ ગયા હતા. શુક્રવારે માર્ગ ફરી શરૂ થયા બાદ વાહન આગળ વધ્યું હતું, પરંતુ કાડુ નાલા નજીક ફરી ભૂસ્ખલન થતાં ટાટા સુમો કાટમાળ નીચે દટાઈ ગઈ અને ગંભીર જાનહાનિ સર્જાઈ.