ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર

September 09, 2025

નડિયાદ : ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારાના રસિકપુરા, નાની કલોલી અને પથાપુરા ગામોમાં કેડસમા પાણી ભરાયા છે. પરિણામે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. પૂરના પાણી ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પર પણ ફરી વળતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂરને કારણે ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે અને સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ ગંભીર બની છે.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ખેડા તાલુકાના નદી કિનારાના સંખ્યાબંધ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડાના રસિકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયા છે.

 આ ગામોમાં હાલ કેડસમા પાણી ભરાયા છે. જેના કારણે આ ગામોનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે નદીના આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારના ખેતરો પણ જળમગ્ન બન્યા છે. ત્યારે ડાંગર, તમાકુ સહિતના ખેતીના પાક કહોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.