હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ

March 20, 2026

હિંમતનગર જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર મામલે અલગ-અલગ સર્ટિફિકેટ બનાવતા જનસેવા કેન્દ્રના ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટ(CSC)ના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યા છે. અત્યાર સુધી અનેક બોગસ સર્ટિફિકેટ, જન્મ-જાતિ દાખલા અને આધારકાર્ડમાં છેડછાડ કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાં શખસોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
હિંમતનગરના બહુમાળી ભવન કમ્પાઉન્ડમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ તેમજ જન્મના દાખલા, જાતિના દાખલા, લિવિંગ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ સર્ટિફિકેટ બનાવવાને મામલે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને ખાનગી CSCના સંચાલક કિશોર પ્રજાપતિની ધરપકડ કરી છે.  પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજોમાં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બંને શખસોને કોર્ટમાં રજૂ કર્યા પછી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે.