છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત

May 21, 2025

નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં 26થી વધુ નક્સલવાદી ઠાર થયા હોવાના સમાચાર મળ્યા છે. જેની ખાતરી રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ આપી છે. આ ઓપરેશનમાં મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ ઓપરેશનમાં એક સુરક્ષાકર્મી શહીદ થયા છે.જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. જેમની સ્થિતિ હાલ સામાન્ય છે. મીડિયા સૂત્રો અનુસાર, અબૂઝમાડ અથડામણમાં અત્યારસુધી 26થી વધુ નક્સલી ઠાર થયા છે. જેમાં નક્સલીઓનો ટોચનો નેતા કેશવ રાવ ઉર્ફ બસવ રાજ પણ સામેલ છે. બસવ રાજ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. તે નક્સલીઓનો મહાસચિવ હતો.  અબુઝમાડના જાટલૂર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47, ઈન્સાસ રાઈફલ્સ, અન્ય ઓટોમેટિક શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ઠાર કરેલા નક્સલવાદીઓનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યા પ્રમાણે, માડ ડિવિઝનના મોટા કેડરને નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં ડીઆરજી નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના અબૂઝમાડમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં 30 નક્સલવાદી માર્યા ગયા હોવાના અહેવાલ  છે. આ આંકડો વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોના સંયુક્ત નક્સલમુક્ત દેશ મિશન હેઠળ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લાના કર્રેગુટ્ટા જંગલમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં પાંચ નક્સલવાદીઓના એન્કાઉન્ટર થયા છે. આ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી નક્સલવાદીઓની ધરપકડ અને એન્કાઉન્ટર હાથ ધરાયા છે. નક્સલ વિરોધી અભિયાનમાં તેલંગાણા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના હજારો જવાનો જોડાયા છે.