પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી

November 29, 2025

Air pollution News: ગુજરાતમાં પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. કોવિડ પછીના વર્ષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનોરી ડિસિઝ (સીઓપીડી) એટલે કે શ્વાસ સંબધિત સમસ્યા ધરાવતા દર્દીમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. શિયાળાની શરૂઆત સાથે  શ્વસન સંબધિત સમસ્યા ધરાવતા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે.  

શિયાળાની મોસમમાં હવાની ગુણવાામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે. ઠંડી હવા પ્રદૂષકોને જમીનની વધુ નજીક રોકી રાખે છે, જેનાથી ધૂળ-ધુમાડો- રજકણો અને ગાડીમાંથી નીકળતા ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વસન નળીમાં બળતરા પેદા કરે છે, ફેફસાની ક્ષમતા ઘટાડે છે તથા અસ્થમા અને બ્રોંકાઇટિસ જેવી બિમારીઓમાં વધારો કરે છે.  

લાંબા સમય સુધી આ પ્રદૂષકોના સંપર્કમાં રહેવાથી બળતરા રહે છે તથા ફેફસાને ગંભીર નુકસાન થાય છે. પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે તેઓ હવે 40 અને 50 વર્ષની ઉંમરના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોઇ રહ્યાં છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઇ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે.  ડૉક્ટરોના મતે, ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિઓની તુલનામાં ફેફસાના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે, જ્યારે કે સીઓપીડીને સમયસર કેર સાથે કાર્યક્ષમ રીતે મેનેજ કરવું શક્ય છે. 

‘પલ્મોનરી ફંક્શન ટેસ્ટ  (પીએફટી) સરળ-ઝડપી અને પીડારહિત છે. જે વ્યક્તિના ફેફસા હકીકતમાં કેટલા સારી રીતે કામ કરે છે, તેની માહિતી આપે છે એમ જણાવતા ડૉક્ટરે ઉમેર્યું કે, ઘણાં દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાને પહેલેથી જ નુકસાન થઇ ગયું હોય ત્યારે જ આવે છે. વહેલા પીએફટી સ્ક્રિનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે. તેમજ જેમ આપણે ડાયાબિટીસને મેનેજ કરીએ છીએ તેમ આપણે નિયમિત દેખરેખ અને યોગ્ય દવાથી સીઓપીડીને પણ કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે તથા વ્યક્તિની જીવન ગુણવાામાં સુધારો કરે છે.