PoKમાં આંદોલન સામે શહબાઝ સરકાર બેકફૂટ પર, પ્રદર્શનકારીઓને મંત્રણાનું આમંત્રણ

August 09, 2026

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં છેલ્લા બે મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે શહબાઝ શરીફ સરકારનું વલણ નરમ પડ્યું છે. જે પ્રદર્શનકારીઓને પહેલા કાયદો અને વ્યવસ્થા માટે સવાલ ગણાવવામાં આવતા હતા, તેમને હવે સરકારે 'દેશભક્ત' ગણાવીને મંત્રણાનું આમંત્રણ આપ્યું છે.


શહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું હતું કે, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) સાથે જોડાયેલા 99 ટકા લોકો 'દેશભક્ત' છે. જો PoKમાં તેમની પાર્ટી PML(N) બે-તૃતિયાંશ બહુમતીથી સરકાર બનાવશે, તો સૌથી પહેલા JAACના પ્રતિનિધિઓ સાથે બેસીને તેમની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ PML(N) નો દાવો હતો કે, પ્રદર્શનકારીઓ વચ્ચે પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના લોકો સામેલ છે. પરંતુ હવે સરકારનું આ વલણ દર્શાવે છે કે, તેઓ PoK ના આક્રોશ સામે બેકફૂટ પર આવી ગયા છે.

PoK માં JAAC છેલ્લા બે મહિનાથી આંદોલન ચલાવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, વકીલો અને ટ્રાન્સપોર્ટર્સ સામેલ છે. તેમની મુખ્ય માંગણી 12 શરણાર્થી સીટોને નાબૂદ કરવાની છે, જેનો ઉપયોગ ઈચ્છિત સરકાર બનાવવા માટે થતો હોવાનો આરોપ છે. JAAC નો દાવો છે કે, જૂનના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીમાં 400 થી વધુ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાન સરકાર આ આંકડાઓને ફગાવી રહી છે. આ હિંસક કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્ર (UN) અને માનવાધિકાર સંગઠનોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.