સોનમ વાંગચૂકે 27મા દિવસે ભૂખ હડતાળ સમાપ્ત કરી

July 24, 2026

નીટ (NEET) પેપર લીક અને વિદ્યાર્થીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને લઈને છેલ્લા ૨૬ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ્ અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે અંતે પોતાના અનશનનો અંત આણ્યો છે. શુક્રવારે તેમના આંદોલનનો ૨૭મો દિવસ હતો. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગુરુગ્રામની હોસ્પિટલ પહોંચીને વાંગચુકને જ્યુસ પીવડાવીને પારણા કરાવ્યા હતા.

સોનમ વાંગચુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિદ્યાર્થીઓને ઉદ્દેશીને આપવામાં આવેલા વીડિયો સંદેશ બાદ આ અનશન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. મોડી રાત્રે જાહેર કરેલા વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે, આગામી કેબિનેટ બેઠકમાં પેપર લીકની ઘટનાઓ રોકવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અંગે મહત્વપૂર્ણ અને સખત નિર્ણયો લેવામાં આવશે.

૨૮ જૂનથી જંતર-મંતર પર ચાલતું હતું વિરોધ પ્રદર્શન
સોનમ વાંગચુક ગત ૨૮ જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા હતા. અનશન દરમિયાન સ્વાસ્થ્ય લથડતાં ૧૮ જુલાઈના રોજ દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.

જોકે, વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી હોસ્પિટલના બદલે તેમને કોઈ શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ તેમને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં તેમણે અનશન સમેટી લીધું છે.