યુપીમાં તોફાનીઓને કાબૂમાં લેવા હાથમાં પિસ્તોલ લઈ રોડ પર ઉતરી ગયા STF ચીફ

October 14, 2024

ઉત્તરપ્રદેશના બહેરાઈચમાં હાલ સ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. દુર્ગા પ્રતિમાના વિસર્જન મુદ્દે બબાલ હવે હિંસામાં પરિણમી છે. એક યુવકના મોત બાદથી સ્થિતિ બગડી છે. લોકો હાથમાં લાકડી દંડા લઈને માર્ગો પર ઉતરી આવ્યા હતા અને દુકાનો અને વાહનોમાં તોડફોડ બાદ આગચંપી કર દેવામાં આવી હતી. ત્યારે આ તોફાનીઓને નિયંત્રણમાં લેવા માટે ડીએમથી લઈને એસપી માર્ગો પર ઉતરી આવ્યા હતા. જોકે તેમ છતાં તોફાનીઓ વશમાં આવ્યા નહોતા. આ ઘટના અંગે યોગી સરકારના આદેશ બાદ લખનઉથી એસટીએફ ચીફ અમિતાભ યશ પણ બહેરાઈચ પહોંચી ગયા. આ દરમિયાન તેમનો અલગ જ રૂપ જોવા મળ્યો. એસટીએફ પ્રમુખ અમિતાભ યશ પોલીસ ફોર્સ સાથે બહેરાઈચના માર્ગો પર તોફાનીઓને દોડાવતા દેખાયા હતા. ઉપદ્રવીઓ પર કાબૂ મેળવવા માટે તે પોતાના હાથમાં પિસ્તોલ પકડીને દોડી રહ્યા હતા. એસટીએફ ચીફના હાથમાં પિસ્તોલ જોઈને તોફાનીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અમિતાભ યશનો આ એક્શન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.