કેરળની સૌથી નાની વયની અંગદાતા 10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા

February 15, 2026


પથનમથિટ્ટા- કેરળના પથનમથિટ્ટા જિલ્લાના મલ્લપલ્લી વિસ્તારની 10 મહિનાની બાળકી અલીન અબ્રાહમ મૃત્યુ પછી પણ જીવનનું પ્રતીક બની ગઈ છે. એક ગંભીર માર્ગ અકસ્માત બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાઈ હતી. તેના માતાપિતાએ અસામાન્ય માનવતા દાખવીને તેના અંગોનું દાન કરવાની મંજૂરી આપી હતી, જેના કારણે છ મહિનાના એક બાળક સહિત પાંચ લોકોને નવજીવન મળ્યું છે. આ ઘટના કેરળ જ નહીં, ભારત અને દુનિયાભરમાં ઉદાહરણીય છે. 


5 ફેબ્રુઆરીએ બપોરે લગભગ 2:30 વાગ્યે અલીન તેના પરિવાર સાથે કોટ્ટાયમથી તિરુવલ્લા જઈ રહી હતી. એમ.સી. રોડ પર એક જંકશન નજીક સામેથી આવતી કાર સાથે અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અલીનને જીવલેણ ઈજા પહોંચી હતી. તેની માતા અને દાદા-દાદીને પણ ઈજાઓ થઈ હતી. અલીનને પ્રાથમિક સારવાર માટે ચાંગનાસેરી અને તિરુવલ્લાની હોસ્પિટલો લઈ જવાઈ. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ તેને કોચીની અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. 13 ફેબ્રુઆરીએ ડોક્ટરોએ અલીનને બ્રેઇન ડેડ જાહેર કરી. અલીનના માતાપિતા અરુણ અબ્રાહમ અને શેરીન જોન માટે એ સમય અસહ્ય દુઃખનો હતો. આમ છતાં, તેમણે માનવતાને પ્રાથમિકતા આપીને અલીનના અંગદાન માટે સંમતિ આપી. ત્યાર પછી એર્નાકુલમ સ્થિત અમૃતા હોસ્પિટલમાં અલીનના શરીરમાંથી લિવર, બે કિડની, હૃદયનો વાલ્વ અને બંને આંખની કોર્નિયા કાઢીને વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
અલીનના અંગોને ઝડપથી યથાસ્થાને પહોંચાડવા માટે પોલીસ, આરોગ્ય વિભાગ અને જનતાના સહકારથી ખાસ વ્યવસ્થા કરાઈ હતી. કોચીથી તિરુવનંતપુરમ સુધીનું લગભગ 220 કિમીનું અંતર એમ્બ્યુલન્સે માત્ર 3 કલાક 15 મિનિટમાં પૂરું કર્યું, જે સામાન્ય રીતે સવા પાંચ કલાકનો સમય લે છે. આ સમગ્ર કામગીરી K-SOTTOના સંકલન હેઠળ અને ગૃહ વિભાગના સહયોગથી સંપન્ન થઈ હતી.