સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરું, 2 શહેરો અને સરહદો, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન

August 12, 2026

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે દેશની ગુપ્તચર એજન્સીઓએ અત્યંત ગંભીર ચેતવણી જારી કરી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરતા ભારત વિરોધી આતંકવાદી તત્વો સ્વતંત્રતા દિવસની આસપાસ દેશમાં મોટો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાન માત્ર સરહદી વિસ્તારો પૂરતું સીમિત ન રહેતા દેશના આંતરિક ભાગોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ISIનું માનવું છે કે 15મી ઓગસ્ટની ઉજવણીને કારણે દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું ધ્યાન મુખ્ય કાર્યક્રમો પર કેન્દ્રિત રહેશે. આ સ્થિતિનો લાભ ઉઠાવી ISI સ્વતંત્રતા દિવસ પર કે તે પહેલાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગે છે. આતંકવાદીઓ સૌપ્રથમ જમ્મુ-કાશ્મીર સરહદેથી ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરશે.

પૂર્વ સરહદે બાંગ્લાદેશ મારફતે પણ આતંકવાદીઓને ભારતમાં ધકેલવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. મેટ્રો કે મોટા શહેરોની સરખામણીએ ટાયર-2 એટલે કે નાના અને મધ્યમ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સામાન્ય રીતે ઓછી કડક હોય છે તેથી ISI આ શહેરોને સોફ્ટ ટાર્ગેટ બનાવવાની યોજના બનાવી રહી છે. તમામ સુરક્ષા એજન્સીઓને ઉચ્ચ ચેતવણી પર મૂકી દેવાઈ છે.

અધિકારીએ વધુમાં ઉમેર્યું કે સરહદ પારથી થતા સંદેશાવ્યવહાર પરથી સ્પષ્ટ થાય છે કે ISI અને પાકિસ્તાની સૈન્ય ભારે દબાણ હેઠળ છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને બલુચિસ્તાન જેવા પ્રદેશોમાં વ્યાપક આંતરિક અશાંતિ અને વિરોધના કારણે પાકિસ્તાની શાસન બેકફૂટ પર છે. આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવા પાકિસ્તાન ભારત પર હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. તમામ આંતરરાષ્ટ્રીય સરહદો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા અત્યંત સઘન કરાઈ છે.