શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા

June 28, 2025

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ આજે નગરની યાત્રાએ નીકળ્યા હતાં. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન નગરની યાત્રા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિર પરત ફર્યા હતાં. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજ મંદિરમાં પરત ફર્યો હતો.

આજે સવારે ભગવાન જગન્નાથને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રામાં 18 ગજરાજ, 100થી વધુ ટ્રક, 30 જેટલા અખાડા, 18 જેટલી ભજન મંડળી જોડાઈ હતી. આ ઉપરાંત દેશભરમાંથી આવેતા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતાં. સવારે નીકળેલી રથયાત્રામાં કેટલાક વિઘ્નો આવ્યા હતાં. શહેરમાં ખાડિયા પાસે હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે લોકોને ઈજા પણ થઈ હતી. આ ઘટના બાદ ત્રણ ગજરાજોનું રેસ્ક્યુ કરીને નિજ મંદિર લઈ જવાયા હતાં.

રથયાત્રા દરમિયાન વાતાવરણની ઈફેક્ટને કારણે કેટલાક લોકો બિમાર થયા હતાં. જેમાં 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા 35 લોકોને સારવાર અપાઈ હતી. આ લોકોમાં બેભાન, પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા વગેરે જેવી ફરિયાદો થઈ હતી. આજે રથયાત્રા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભગવાનના ત્રણેય રથ શહેરની નગરચર્યા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિરમાં પરત ફર્યા હતાં. આજે ભગવાનને ભક્તોના દર્શન માટે રથમા રાખવામાં આવશે. ભગવાન મંદિરે પહોંચતા જ જય રણછોડનો નાદ ગૂંજ્યો હતો.