Breaking News :
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા અમેરિકાએ કેનેડા પર 50% ટેરિફ લાદ્યો, ટ્રમ્પે ભેદભાવનો આરોપ લગાવ્યો; બંને દેશો વચ્ચે ફરી ટ્રેડ વૉરની આશંકા જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા હિમાચલ પ્રદેશના કાંગડા-કિન્નૌરમાં વાદળ ફાટ્યું, 18 મકાનો દટાયા, 150 રસ્તાઓ બંધ, અનેક પશુઓના મોત હાઈકોર્ટના આદેશથી મેદાંતામાં દાખલ સોનમ વાંગચુકની તબિયત લથડી, કેન્દ્રીય મંત્રીઓએ હોસ્પિટલ પહોંચીને કરી મુલાકાત આસામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ : 24 કલાકમાં 21ના મોત, 16 જિલ્લાના 5.64 લાખ લોકો પ્રભાવિત

વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ; 150થી વધુ માર્ગો બંધ

July 22, 2026

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આખી રાત વરસાદ ચાલુ રહેતાં સવાર સુધીમાં વરસાદનો આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ વરસતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150થી વધુ માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

વાપી શહેરમાં સતત વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. જગનપાર્કના અનેક રો-હાઉસમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને નુકસાન વેઠવું પડ્યું છે. ઉપરાંત જીઆઈડીસીની સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ અને સ્વામિનારાયણ ગુરુકુલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. શહેરના બંને મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચોમાસા પૂર્વે ગટર સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થતાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગટર વ્યવસ્થા વરસાદ સામે નિષ્ફળ સાબિત થઈ છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે.

બીજી તરફ કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે સવારે 7 વાગ્યે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાતા જળસપાટી 74.35 મીટરે પહોંચી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડેમના 7 દરવાજા 3.10 મીટર અને એક દરવાજો 1.40 મીટર સુધી ખોલીને દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે.