કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ

May 31, 2025

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાં 2 હજારથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. આ દરમિયાન, દિલ્હીમાં કોરોનાના નવા વેરિયન્ટથી પહેલો મૃત્યુનો કેસ નોંધાયો છે. અહીં 60 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. દિલ્હીમાં એક દિવસમાં 56 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, જો સક્રિય કેસની વાત કરીએ તો, આ સંખ્યા 200 ને વટાવી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે, જેમાંથી સૌથી વધુ 6 મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. દિલ્હીમાં કોરોનાને કારણે દર્દીના મૃત્યુ પહેલાં, પેટમાં અસહ્ય દુ:ખાવો અને ઉલટીની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક લેપ્રોટોમી (પેટની સર્જરી) કરવામાં આવી. ઓપરેશન પછી જ્યારે રૂટિન ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે કોરોનાની પુષ્ટિ થઈ. દર્દીમાં પહેલા કોરોનાના કોઈ લક્ષણો નહોતા. કેરળમાં સક્રિય કેસની સંખ્યા 1147 પર પહોંચી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં અહીં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન JN વેરિયન્ટ LF7ના કેસ આવી રહ્યા છે. દેશના ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારા વચ્ચે, દેશમાં ચાર નવા વેરિયન્ટ મળી આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ તેમને ચિંતાજનક માન્યા નથી. જો કે, તેને દેખરેખ હેઠળ રાખવામાં આવેલા વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાઈરસના કુલ સક્રિય કેસની સંખ્યા 2710 છે, છેલ્લા 24 કલાકમાં 511 કેસ નોંધાયા છે. 255 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 7 લોકો મૃત્યુ પામ્યા છે. જાન્યુઆરી 2025થી 1170 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 84 નવા કેસ નોંધાયા હતા, રાજસ્થાનમાં 24 કલાકમાં 15 નવા કેસ નોંધાયા છે. જોકે, મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.