ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ

May 28, 2025

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ થયુ છે. તેમના પરિવારજનો પાસે રૂ.1 કરોડની ખંડણી માગવામાં આવી છે. આ ત્રણ યુવકો પંજાબના સંગરૂર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેય યુવકો દિલ્હીથી વર્ક પરમિટ પર ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતાં. એજન્ટ મારફત ઈરાન થઈ તેમને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી રહ્યા હતાં. તેઓ 1 મેથી ગુમ થયા હતાં.

ઈરાનમાં ભારતની એમ્બેસીએ સ્થાનિક પોલીસ અને સત્તાધીશોની મદદ લઈ આ ત્રણેય ગુમ યુવકોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે. ઈરાન પહોંચ્યા બાદ આ યુવકો ગુમ થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. 11 દિવસ સુધી તેમની કોઈ ભાળ મળી ન હતી. બાદમાં તેમનો એક વીડિયો આવ્યો હતો. જેમાં તેમના હાથ-પગ બાંધેલા હતા. અને અપહરણકર્તાએ રૂ. 1 કરોડની ખંડણીની માગ કરી હતી. વીડિયોમાં યુવકોના શરીર પર ઈજાના નિશાન છે. તેમજ તેમના ગળા પર ચપ્પુ મુકી ખંડણીની માગ કરવામાં આવી હતી. તેહરાનમાં ઈન્ડિયન એમ્બેસીએ આ મુદ્દે ઈરાન ઓથોરિટીને તાત્કાલિક ધોરણે ધ્યાન આપી શોધ કરવા માગ કરી છે.