મધ્યપ્રદેશમાં ટ્રેનના એન્જિનમાં આગ લાગતા અફરાતફરી, મુસાફરોએ ટ્રેનમાંથી કૂદ્યા

October 27, 2024

રતલામ : મધ્યપ્રદેશના રતલામમાં ટ્રેન અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં ઈન્દોરથી રતલામ જઈ રહેલી DEMU ટ્રેનના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. રતલામ નજીક પ્રિતમનગર અને રૂણીજા રેલવે સ્ટેશન વચ્ચે ઈન્દોર-રતલામ ડેમુ ટ્રેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા.  સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અકસ્માતની જગ્યા સુધી ફાયર બ્રિગેડને પહોંચવા માટેનો કોઈ રસ્તો ન હતો. તેવામાં સ્થાનિક ખેડૂતો, ટ્રેન સ્ટાફ અને મુસાફરોએ એન્જિનમાં લાગેલી આગને ઓલવવાનું કામ કર્યું.