મોની રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ: ઇન્સ્ટાગ્રામ પર અલગ થવાની કરી જાહેરાત

May 15, 2026

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી મોની રોય અને તેના પતિ સૂરજ નામબિયારે આખરે પોતાના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક જોઇન્ટ પોસ્ટ શેર કરીને અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર બંનેના ડિવોર્સને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી.

ફેન્સે થોડા દિવસો પહેલાં નોંધ્યું હતું કે મોની અને સૂરજ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. ત્યારબાદ સૂરજનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ થયું હતું અને મોનીના એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો ગાયબ થવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક જોઇન્ટ સ્ટેટમેન્ટ શેર કરીને અલગ થવાની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું: ‘મીડિયાના કેટલાક લોકો દ્વારા અમારા વ્યક્તિગત જીવનમાં કરવામાં આવી રહેલી બિનજરૂરી અને અતિશય દખલગીરીથી અમે દુઃખી છીએ. અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે અને આ પરિસ્થિતિને ખાનગી રીતે તથા શાંતિપૂર્ણ રીતે હેન્ડલ કરવા માટે જરૂરી સમય લઈ રહ્યા છીએ.’

આગળ પોસ્ટમાં બંનેએ લખ્યું કે ‘વ્યક્તિગત પ્રાથમિકતાઓમાં આવેલા બદલાવ અંગે ગંભીર વિચાર કર્યા બાદ અમે પરસ્પર સમજ અને સન્માન સાથે અલગ માર્ગ પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે.’ તેમણે મીડિયા અને લોકો પાસે પ્રાઇવસી જાળવવાની અપીલ પણ કરી છે.