હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ

August 04, 2026

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે, રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવી હવે તેમના માટે પ્રાથમિક લક્ષ્ય નથી. તેમણે ઉમેર્યું કે, તે ભારતીય ટીમની બહાર પોતાની જિંદગી સાથે શાંતિથી જીવી રહ્યા છે, અને હવે તે માત્ર રમત પ્રત્યેના પ્રેમને કારણે ક્રિકેટ રમી રહ્યા છે. 36 વર્ષીય ભુવનેશ્વરે ભારત માટે તેમની છેલ્લી મેચ 2022ના અંતમાં રમી હતી. અત્યાર સુધીમાં તેમણે 21 ટેસ્ટ, 121 ODI અને 87 T20I મેચ રમી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમી ચૂકેલા આ જમણેરી ફાસ્ટ બોલરે નોંધ્યું કે, દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું પૂરું થઈ ચૂક્યું હોવાથી તેમને હવે પોતાને સાબિત કરવાનું કોઈ દબાણ અનુભવાતું નથી.  RCBના એક પોડકાસ્ટમાં ભુવનેશ્વર કુમારે કહ્યુ કે 'હું IPL અને સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો છું, કારણ કે મને રમત પ્રત્યે પ્રેમ છે. જ્યારે તમે યુવાન હોવ અને ભારત માટે રમતા હોવ ત્યારે કહો છો કે, તમને રમત ગમે છે. પરંતુ પ્રામાણિકપણે કહું તો, જે તમારા હાથમાં છે, તેના પર ધ્યાન આપો, વધારે ન વિચારો, અથવા રમત પ્રત્યેના જુસ્સા માટે રમો, આ બધી બાબતો હું હવે ખરેખર અનુભવી શકું છું. હું ભારત માટે રમી ચૂક્યો છું. તે એવું કંઈ નથી જે મારે હવે હાંસલ કરવાનું બાકી છે. જો મને બીજી તક મળે તો તે ઉત્તમ છે, પણ હું ત્યાં પહોંચી ચૂક્યો છું. હવે હું જે પણ કરી રહ્યો છું, તે માત્ર રમત પ્રત્યેના પ્રેમને કારણે છે. મારે શિસ્તબદ્ધ રહેવું પડશે તે હું જાણું છું. હું ડોમેસ્ટિક ક્રિકેટ અને UP T20 લીગ રમું છું. હું પૂરતી ક્રિકેટ રમું છું, જેથી રમત સાથે જોડાયેલો રહું અને સાથે રિકવરી માટે પૂરતો બ્રેક પણ લઉં છું.'  આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર પોતાની જિંદગી વિશે વાત કરતા આ ફાસ્ટ બોલરે પોતાના પરિવારને શ્રેય આપ્યો હતો, જેમણે તેને કોઈ પણ અફસોસ કે, કડવાશ વગર આગળ વધવામાં મદદ કરી. ભુવનેશ્વરે કહ્યું કે, 'હું સંપૂર્ણપણે શાંતિ અનુભવું છું, અને તેનો શ્રેય મારા પરિવારને આપું છું. ઘરે અમે ક્યારેય ક્રિકેટ વિશે વાત કરતા નથી. હું ભારતીય ટીમમાં પાછો આવીશ કે નહીં, મારી પસંદગી કેમ ન થઈ, અથવા શું ખોટું થયું તે અંગે અમે ક્યારેય ચર્ચા કરતા નથી.'