પેરિસમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિર ખાતે 43 દેશોના 50 પ્રતિનિધિઓ એકત્રિત થયા

September 12, 2026

યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા.


યુનેસ્કો ખાતે ભારતના કાયમી પ્રતિનિધિમંડળ દ્વારા આયોજિત આ સમારોહમાં યુરોપ, આફ્રિકા, એશિયા, આરબ દેશો, અમેરિકા અને કેરેબિયન પ્રદેશના રાજદૂતો, કાયમી પ્રતિનિધિઓ અને અન્ય વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ તેમજ યુનેસ્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં મૂળભૂત એવા સેવા, સાંસ્કૃતિક સમજણ અને સંવાદના મૂલ્યોનો પરિચય કરાવતા કાર્યક્રમ પહેલાં મહેમાનોને પરંપરાગત ભારતીય ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
યુનેસ્કો ખાતે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ સભાને સંબોધતાં મંદિરને “ભારતની સભ્યતા, વારસા અને ભારત-ફ્રાન્સના સહયોગથી સાકાર થયેલી શિલ્પકળાના અદભૂત સંગમ” તરીકે વર્ણવ્યું. યુનેસ્કોના સંદર્ભમાં મંદિરના મહત્ત્વ અંગે તેમણે કહ્યું, “યુનેસ્કો સાથે સંકળાયેલા આપણા સૌના માટે આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે, કારણકે સંસ્કૃતિ અને વારસાનું જતન યુનેસ્કોના હાર્દમાં છે.”