Breaking News :
તામિલનાડુમાં કાવેરી વિવાદ મુદ્દે સભામાં ત્રિશા પર અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિનાશક હુમલો ટાળી પરમાણુ કાર્યક્રમ પર અંકુશ માટે વાટાઘાટોની તક આપી કાવડ યાત્રાને કારણે દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના 17 સ્ટેશનના દરવાજા બંધ, 4 થી 12 ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરીદાબાદના સિકરૌનામાં પોલીસ ચોકી પાસેની ખાનગી શાળામાં અજ્ઞાત કારણસર શિક્ષિકાની હત્યા, 32 સેકન્ડમાં 34 ચાકુના ઘા દતિયામાં દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રાને સાઇડલાઇન કરતા ભાજપને ફટકો પડ્યો, કોંગ્રેસે 6016 મતથી બેઠક જીતી હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ

તામિલનાડુમાં કાવેરી વિવાદ મુદ્દે સભામાં ત્રિશા પર અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત

August 04, 2026

કાવેરી જળ વિવાદે તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય સામે નિવેદન આપતી વેળાએ અભિનેત્રી ત્રિશા અંગે કથિત અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તામિલનાડુ પોલીસે વિરોધ પક્ષના નેતા અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત કરી છે, તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાવેરી મુદ્દે સભાને સંબોધતી વખતે તેઓ તામિલનાડુ સરકારની નિષ્ફળતા પર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી ત્રિશા, ત્રિશા ની બૂમો પડી હતી, થોડી ક્ષણો અટકીને તેમણે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી જેને અભિનેત્રી ત્રિશા સાથે જોડીને જોવામાં આવી રહી છે અને તેનાથી રાજકીય હલચલ મચી છે.

નિવેદન સામે આવતા જ તામિલનાડુમાં રાજકીય રોષ ફાટી નીકળ્યો હતો. શાસક પક્ષ ટીવીકે અને ભાજપે આકરી ટીકા કરી હતી. ટીવીકે નેતા આદવ અર્જુનાએ ભાષાની ઝાટકણી કાઢી તેમને એબ્યુસિંગ નિધિ કહ્યા હતા અને મહિલાઓ પ્રત્યે વિકૃત માનસિકતાનો આરોપ લગાવ્યો હતો. પ્રવક્તા ફેલિક્સ ગેરાલ્ડે સવાલ કર્યો હતો કે શું આવા અપશબ્દો પુત્ર-પુત્રી સામે બોલી શકાય, જ્યારે ભાજપ પ્રવક્તા નારાયણન તિરુપથીએ ટિપ્પણીને ઘૃણાસ્પદ ગણાવી તુરંત ધરપકડ માંગી હતી અને અન્ય ભાજપ નેતાઓએ માફીની માંગ દોહરાવી હતી.

પોલીસે કેસ નોંધી અટકાયત કરી છે. અટકાયત દરમિયાન મીડિયા સમક્ષ ઉદયનિધિએ બચાવ કરતા દાવો કર્યો હતો કે કશું ખોટું કહ્યું નથી અને વિજય સિવાય કોઈનું નામ લીધું નથી. તેમણે કાર્યવાહીને બદલાની ભાવનાવાળી ગણાવી હતી. કાયદાકીય મુશ્કેલી વધતા તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

શાસક પક્ષ આક્રમક છે ત્યારે ડીએમકે નેતાના સમર્થનમાં મેદાને આવી છે. પૂર્વ મંત્રી ટી મનો થંગારાજે વિવાદને રાજકીય રીતે પ્રેરિત ગણાવી દાવો કર્યો છે કે કાવેરી જળ વિવાદ અને ડેલ્ટાના ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવવા બનાવટી વિવાદ ઊભો કરાયો છે જેથી વિપક્ષી નેતાને સવાલ પૂછતા અટકાવી શકાય.