ટ્રમ્પે કરાવેલું સીઝફાયર 45 દિવસમાં ખોરંભે! થાઈલેન્ડની કમ્બોડિયા પર ફરી એરસ્ટ્રાઈક, F16થી હુમલો

December 08, 2025

શાંતિના પ્રયાસો છતાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સીમા વિવાદ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી મધ્યસ્થીથી માત્ર 45 દિવસ પહેલાં જ જે સીઝફાયર કરાર થયો હતો, તેને તોડીને થાઇલેન્ડે ફરી એકવાર કંબોડિયાની સરહદ પર એર સ્ટ્રાઇક કરી છે. થાઇલેન્ડની સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇ સુવારીના સોમવારના નિવેદન મુજબ, થાઇલેન્ડે તેની વિવાદાસ્પદ સરહદ પર હવાઈ હુમલા કર્યા છે, જ્યારે બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામ ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે દક્ષિણ-પૂર્વ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. થાઇલેન્ડે કંબોડિયાની સરહદ પર હુમલા કરવા માટે F-16 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. થાઇ સેનાએ જાહેર કરેલા નિવેદન અનુસાર, ઉબોન રાચથાની પ્રાંતના પૂર્વીય વિસ્તારમાં થયેલી બે નવી અથડામણોમાં એક થાઇ સૈનિક શહીદ થયો અને અન્ય ચાર ઘાયલ થયા છે. આ સરહદી વિવાદ જુલાઈમાં પાંચ દિવસના સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ, અમેરિકન પ્રલુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે યુદ્ધવિરામ કરાર કરાવ્યો હતો. ઑક્ટોબરમાં કુઆલાલંપુરમાં યોજાયેલા એક મોટા યુદ્ધવિરામ કરાર પર થયેલા હસ્તાક્ષરના ટ્રમ્પ સાક્ષી બન્યા હતા, તેમ છતાં આ યુદ્ધવિરામ બે મહિના કરતાં પણ ઓછો સમય ટક્યો. થાઇલેન્ડે કંબોડિયા પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. થાઇલેન્ડના મીડિયા અહેવાલ મુજબ, રોયલ થાઇ આર્મીના કમાન્ડરોએ થાઇ-કંબોડિયાઈ સરહદ પરના ઘણા વિસ્તારોમાં સંઘર્ષ વધી રહ્યાની માહિતી આપી. થાઇ સેનાએ આ પરિસ્થિતિનો નિયમો અનુસાર જવાબ આપ્યો અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં તાત્કાલિક મદદ કરી. થાઇ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇના જણાવ્યા મુજબ, સોમવારે વહેલી સવારે 5.05 વાગ્યે ઉબોન રાચથાની પ્રાંતના ચોંગ આન મા વિસ્તારમાં અથડામણ શરૂ થઈ. કંબોડિયાના સૈનિકોએ નાના અને પરોક્ષ-ફાયર હથિયારોથી ગોળીબાર શરૂ રાખ્યો હતો. રોયલ થાઇ એર ફોર્સ(RTAF)ના પ્રવક્તા એર માર્શલ જૈક્રિટ થમ્માવિચઈએ જણાવ્યું કે આ ઓપરેશન સુરનારી ટાસ્ક ફોર્સ સાથે મળીને કરવામાં આવ્યું. આ કાર્યવાહી કંબોડિયાની લશ્કરી કાર્યવાહીના જવાબમાં હતી, જેનાથી થાઇલેન્ડની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને સીધો ખતરો હતો. થાઇ સેનાએ દાવો કર્યો છે કે કંબોડિયાએ સરહદ પર ભારે હથિયારો અને લડાકુ યુનિટ્સ તૈનાત કર્યા હતા. આ ગતિવિધિઓથી થાઇ સરહદ વિસ્તાર માટે ખતરો પેદા થઈ શકે તેમ હતો. તેથી, કંબોડિયાની સૈન્ય ક્ષમતાઓને રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે હવાઈ તાકાતનો ઉપયોગ કરવો જરૂરી બન્યો.